રાજકોટમાં પહેલીવાર એક સાથે 17 સામે ગુજસીટોકનું હથિયાર : ACP બી.બી.બસીયાને ગુજસીટોકની સોંપાઈ છઠ્ઠી તપાસ
ગત 29 ઑક્ટોબરે વ્હેલી સવારે 3:30 વાગ્યે રાજકોટના મંગળા રોડ પર શહેરની બે કુખ્યાત ગેંગ પેંડાગેંગ અને મરઘાગેંગ વચ્ચે સામસામા ફાયરિંગનો ગંભીર બનાવ બન્યો હતો. આ પછી એક્શનમાં આવેલી પોલીસે એક બાદ એક બન્ને ગેંગના કુલ 17 આરોપીઓને દબોચી લઈ કાયદાનો ક્યારેય ન મળ્યો હોય તે `પાઠ’ ભણાવ્યો હતો. જો કે આ ગેંગ ગુના આચરવા માટે હદ બહાર ટેવાઈ ગયેલી હોય તેમના સામે આકરી કાર્યવાહી કરવાના ભાગરૂપે પોલીસે બે પૈકી `પેંડાગેંગ’ના 17 લોકો સામે ગુજસીટોક નામના હથિયારમાંથી `ફાયરિંગ’ કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસ દ્વારા હવે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓને એક સાથે જેલમાં ધકેલી દેવામાં આવશે.

આ અંગે ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પેંડા ગેંગ દ્વારા છેલ્લા દસ વર્ષથી હત્યા, હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, છેડતી, ગેંગરેપ સહિતના 71 ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા. આ લોકોને જાણે કે કાયદાનો કોઈ જ ડર રહ્યો ન હોય તે પ્રમાણે એક સાથે ગેંગ બનાવીને ગુના આચરી રહ્યા હોય પોલીસ દ્વારા એક સાથે 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. 17 પૈકી 15 આરોપીઓ પોલીસના કબજામાં હોવાથી ટૂંક સમયમાં જ તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે જ્યારે બાકીના બે આરોપી ફરાર હોય તેની પણ શોધખોળ ચાલી રહી છે. અમુક આરોપી અત્યારે જેલમાં જ હોય ત્યાંથી તેનો કબજો મેળવવામાં આવશે.
કોની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી ?
- રાજપાલસિંહ સુધીરસિંહ જાડેજા (11 ગુના)
- હર્ષદીપસિંહ સાત્યકિસિંહ ઝાલા (7 ગુના)
- પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા (7 ગુના)
- જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશભાઈ રાબા (11 ગુના)
- પરિમલ ઉર્ફે પરિયો ત્રિભોવનભાઈ સોલંકી (4 ગુના)
- ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઈ ગોહેલ (3 ગુના)
- દિનેશ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા (7 ગુના)
- જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા (4 ગુના)
- કમલેશ વજુભાઈ મેતા (3 ગુના)
- દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટિકિટ (10 ગુના)
- રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદભાઈ ગોહેલ (10 ગુના)
- જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ અરવિંદભાઈ ગોહેલ (9 ગુના)
- ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા (8 ગુના)
- હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો ઉર્ફે કડી ભૂપતસિંહ જાડેજા (7 ગુના)
- સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા (6 ગુના)
ગુજસીટોકના `હથિયાર’થી શું થશે ?
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પેંડા ગેંગ એકબીજા સાથે મળીને એકથી વધુ ગુના આચરી ચૂકી હોય તેમની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આરોપીઓને એક સાથે જેલમાં ધકેલી દેવામાં આવનાર છે એટલે લાંબા સમય સુધી તેઓ બહાર આવી શકશે નહીં. વળી, એકાદ-દોઢ વર્ષ બાદ કદાચ જામીન મળી પણ જાય અને બહાર આવીને ફરી ગુનો આચરે તો તેમના જામીન રદ કરી ફરી જેલમાં ધકેલી દેવામાં આવશે. વળી, ગુજસીટોક હેઠળ ગુનો સાબિત થાય તો આજીવન કેદ સુધીની સજા પણ થશે.
આ પણ વાંચો : રાજકોટના વોર્ડ નં.3ના કોર્પોરેટરે કહ્યું, મારે તો 2027ની વિધાનસભા ચૂંટણી લડવી છે એ પણ વાંકાનેરથી ! વાંચો કાનાફૂસી
કોઈને માંડ એક મળે, એસીપી બી.બી.બસીયાને ગુજસીટોકની છઠ્ઠી તપાસ સોંપાઈ
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એટલે તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવતી હોય છે. આ એટલે ગંભીર ગુનો છે કે અધિકારીએ ફૂંકી ફૂંકીને તપાસ કરવી પડતી હોય કોઈને માંડ એકાદ વખત તપાસ મળે છે પરંતુ રાજકોટના એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાને આ ગુનાની છઠ્ઠી તપાસ સોંપાઈ છે ત્યારે તેઓ ગુજરાતના એકમાત્ર અધિકારી છે જેઓ આટલી મોટી સંખ્યામાં તપાસ કરશે. અગાઉ તેમણે મોડાસા ડીવાયએસપી તરીકેના કાર્યકાળ દરમિયાન બે, રાજકોટમાં એસીપી તરીકે એક ઉપરાંત હવે પેંડા ગેંગની મળી કુલ છઠ્ઠી તપાસનો દોર સંભાળશે.
આ પણ વાંચો : આતંકીઓનું ‘ઝેરી ષડયંત્ર’ નિષ્ફળ: જાણો કોણ છે 2 આતંકી ડૉક્ટર, ઘરેથી મળી 360 કિલો વિસ્ફોટક, બે AK-47 સેવન રાઇફલ સહિતની સામગ્રી
હાથ પર રહેલા આરોપીઓને આજે જ જેલમાં ધકેલી દેવાશે
પોલીસના કબજામાં રહેલા પેંડા ગેંગના આરોપીઓને રવિવારે જ ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી જ્યારે અન્ય આરોપીઓ કે જેઓ જેલમાં બંધ છે તેમનો પણ આજે સોમવારે કબજો મેળવીને જેલમાં ધકેલી દેવામાં આવશે.
