શિયાળો જમાવટ કરશે : 9મી નવેમ્બરથી અનુભવાશે ઠંડીનો ચમકારો, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે
રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ઋતુચક્ર ખોરંભે ચડયા બાદ હવે શિયાળો જમાવટ લેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશાના પવન ફૂંકાવાનું શરૂ થયું છે. આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી નીચે ઉતરશે જેથી રવિવારથી ઠંડીની શરૂઆત થશે.
સામાન્ય રીતે દિવાળી બાદ રાજ્યમાં ઉગમણા પવન શરૂ થતા જ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે, જો કે, ઓણસાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે દિવાળી બાદ કમોસમી વરસાદ વરસતા ઋતુચક્ર ખોરવાઈ જતા શિયાળો ગાયબ થઇ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. દરમિયાન શુક્રવારથી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશામાંથી પવન ફૂંકાવા લગતા હવે આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જેથી રવિવારથી ઠંડીનો ચમકારો જોવા મળશે.
આ પણ વાંચો : મોરબી PGVCLના નાયબ ઈજનેર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા : ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા
ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો
કમોસમી વરસાદ બંધ થતાં, હવામાન સૂકું અને ઠંડુ બનશે. ઉત્તર ભારતમાં થતી હિમવર્ષા અને ઉત્તરીય ઠંડા પવનોના પ્રભાવથી ગુજરાતમાં રાત્રિના અને વહેલી સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધશે. દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ગરમીથી છુટકારો મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં ઠંડક અનુભવાશે. ખેડૂતોને કમોસમી વરસાદના સંકટમાંથી રાહત મળતા, હવે રવિ પાક માટે હવામાન અનુકૂળ થવાની શક્યતા છે.
