રાજકોટમાં 10 મહિનામાં 2182 નવા દર્દી, 1673 દર્દીઓ ટીબીને હરાવશે, જાણો જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલા ટીબીના દર્દી
ટ્યુબરક્યુલોસિસ અથવા ટીબીએ બેક્ટેરિયા, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા થતો ચેપી રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે. ડબ્લ્યુએચઓ દ્વારા આપવામાં આવેલા વૈશ્વિક ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં સૌથી વધુ ચેપી રોગ સંબંધિત મૃત્યુદરનું સૌથી વધુ કારણ ટીબી છે. તે વિશ્વભરમાં મૃત્યુનું નવમું મુખ્ય કારણ છે. 2016 માં, અંદાજે 1.3 મિલિયન ટીબી મૃત્યુ પામ્યા હતા. ભારત સરકાર દ્વારા ટીબી નિર્મૂલન માટે અભિયાનરૂપે કામગીરી થઇ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં ટીબી નિર્મૂલનક્ષેત્રે ખુબ જ સારા પરિણામ મળ્યા છે. ડિસેમ્બર -2024માં ગુજરાત સરકાર દ્વારા ટીબી નિર્મૂલન માટે 100 દિવસની ઝુંબેશ ચાલુ કરાવ્યા બાદ હાલમાં નિરંતર પણે ઝુંબેશ ચાલુ છે. પરિણામ સ્વરૂપ ટીબીના દર્દીઓનું સ્ક્રીનિંગ વધ્યું છે અને સમયસરની સારવારથી જિલ્લામાં હાલમાં 1673 દર્દીઓ ટીબીને હરાવવા નિયમિત દવા લઇ રહ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ બાદ જિલ્લામાં ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 1,49,257 લોકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 2182 ટીબીના નવા દર્દીઓ મળી આવ્યા હતા. જે પૈકી રાજકોટ જિલ્લાના 1673 દર્દીઓને હાલમાં ટીબી રોગને હરાવવા માટે નિયમિત રીતે દવા લઇ રહ્યા છે. નોંધનીય છે કે, ટીબીના દર્દીઓને ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી દર મહિને 1000 રૂપિયા સહાય સીધી જ બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.હાલમાં જિલ્લામાં 1498 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે અને ઓક્ટોબર અંત સુધીમાં આ દર્દીઓના ખાતામાં કુલ રૂપિયા 76.56 લાખ જમા કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીબી નિર્મૂલન માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને ક્ષય વિભાગ દ્વારા સહિયારી કામગીરી કરવામાં આવે છે. સામાન્ય રીતે ટીબીના સ્ક્રીનિંગ એટલે કે, ટીબી છે કે, કેમ અને જો ટીબી હોય તો દવા લાગુ પડશે કે, કેમ તે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જે ટેસ્ટના રૂપિયા 2000થી 2200 રૂપિયાનો ખર્ચ થાય છે તેવા ટેસ્ટ સરકાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સાથે જ દર્દીને ટીબી હોવાનું નિદાન થાય તો અંદાજે છથી નવ માસના સમયગાળા સુધી તમામ દવા સરકાર દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે, તબીબોના જણાવ્યા મુજબ નિયમિત દવાના સેવનથી ટીબી મટી શકે છે.
છીક ઉપરાંત ગાવા અને હસવાથી પણ ચેપ ફેલાઈ છે
ટીબી બેક્ટેરિયા સામાન્ય રીતે ઉધરસ અને છીંક દરમિયાન હવામાં છોડવામાં આવતા નાના ટીપાઓ દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે ફેફસાંને ચેપ લગાડે છે, પરંતુ શરીરના અન્ય ભાગોને પણ ચેપ લગાવી શકે છે, જેમ કે મગજ, કિડની અથવા કરોડરજ્જુ. સક્રિય પલ્મોનરી ચેપ ધરાવતા લોકોમાં ટીબીનો સ્ત્રોત બને છે. જ્યારે સક્રિય પલ્મોનરી ટીબી રોગ ધરાવતી વ્યક્તિ ઉધરસ ખાઈ, વાત કરે, છીંક ખાય, ગાય કે હસે ત્યારે તે ટીબી ફેલાવે છે. જો કે, યોગ્ય એન્ટિબાયોટિક્સ વડે ટીબીને મટાડી શકાય છે.
ટીબીના નિદાન માટે સીબીનેટ અને ટ્રુનાટ મશીન
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે સતત સઘન કામગીરી થાય છે. ખાસ કરીને ટીબી સ્ક્રીનિંગ માટે જિલ્લામાં હાલમાં રાજકોટ અને જેતપુર ખાતે બે સીબીનેટ મશીન છે. આ ઉપરાંત શાપર, ખીરસરા, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, વિછિયા, જસદણ અને મેડિકલ કોલેજ રાજકોટ ખાતે ટ્રુનાટ મશીન રાખવામાં આવ્યા છે. જેમાં દર્દીના સેમ્પલ મેળવી દોઢથી બે કલાકમાં જ ટીબીનું નિદાન થાય છે. સાથે જ દર્દીને ટીબીની દવા લાગુ થશે કે કેમ તેની પણ જાણકારી આ ટેસ્ટમાંથી મળી રહે છે. સામાન્ય રીતે આવા ટેસ્ટ માટે ખાનગી હોસ્પિટલ લેબમાં 2000થી 2200 રૂપિયાનો ખર્ચ થાય છે.
