રાજકોટમાં હવે નકલી સાધુની ગેંગ ઉતરી પડી : બે વૃદ્ધ સાથે ગોળ-ગોળ વાતો કરી ચેઈન, વીંટી લઈને 3 શખ્સો કારમાં ફરાર
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર સાધુના વેશમાં અનેક લોકો ફરી રહ્યા છે જે સામે જે મળે તેમને ‘બચ્ચા તેરા કલ્યાણ હોગા’ કહીને ભરમાવી લે છે અને તેમને વશમાં કરી ઘડિયાળ, રોકડ સહિતની મત્તા પડાવી લેતા હોવાનું બની ચૂક્યું છે પરંતુ પોલીસ ચોપડે આવા બનાવ નોંધાયા નથી ત્યારે હવે શહેરમાં નકલી સાધુની ગેંગ ઉતરી પડી હોય તે રીતે બે વૃદ્ધને લૂંટી લઈને કારમાં ફરાર થઈ જતા આખરે બે અલગ-અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્ર.નગર પોલીસ મથકમાં પ્રીતમદાસ લાલચંદભાઈ થઘાણી (ઉ.વ.62, રહે.રેલનગર, શિવમ પાર્ક શેરી નં.5)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ગુરૂવારે સવારે સાત વાગ્યા આસપાસ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે રેલનગરમાં શિવાલય ચોકથી આગળ એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની કારમાં ત્રણ અજાણ્યા શખસો ધસી આવ્યા હતા. આ પૈકી ડ્રાઈવરે આજી ડેમ ચોકડી જવાનો રસ્તો પછી વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ અંદર બેઠેલા એક વ્યક્તિએ પોતે સાધુ હોવાનું કહી પ્રીતમદાસને 500 રૂપિયાની નોટ પ્રસાદી તરીકે આપી કહ્યું હતું કે આમાથી અડધા રૂપિયા વાપરજે અને અડધા રૂપિયા તારા પાસે રાખજે, તારા બધા સપના પૂરા થશે તેમ કહી મોબાઈલ માંગ્યો હતો જે તેને મળી જતા થોડીવારમાં મોબાઈલ પરત આપી સોનાની વીંટી નડતરરૂપ હોવાનું કહી તે કઢાવી નાખી પરત આપવાની જગ્યાએ ત્રણેય શખસો કારમાં ફરાર થઈ ગયા હતા. એકંદરે આ ત્રણેયે વૃદ્ધનું વશીકરણ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ જ પ્રમાણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પ્રફુલભાઈ નટવરલાલ વસાણી (ઉ.વ.63, રહે.અયોધ્યા પાર્ક પાર્સ રાધાપાર્ક)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે 150 ફૂટ રોડ પર ધ વન વર્લ્ડ પાસે કારમાં ત્રણ શખસો ધસી આવ્યા હતા અને આશ્રમનું સરનામું પૂછી વાતચીત શરૂ કર્યા બાદ તેમને ભોળવી લીધા હતા અને વાત વાતમાં 70 હજારના સોનાના ઘરેણા લઈ ફરાર થઈ ગયા હતા.
