ગુજરાતની સંગીત મંડળીને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત: ટ્રક અને મીની બસની ટક્કર થતા 4ના મોત 7 લોકો ઇજાગ્રસ્ત
અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ગુજરાતની એક સંગીત મંડળી કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રદર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ઉદયલા ચાર રસ્તા પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની છે જ્યાં આ ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 20 ગીત-સંગીત સાથે જોડાયેલા કલાકારો શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પરફોર્મ કરીને પરત ફરી રહ્યા હતા. શનિવારે સવારે ટ્રાવેલર બસ સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી વખતે જ તે બેકાબૂ થઈ ગઈ, ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેન પર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.
મેડિકલ કોલેજ પોલીસ ચોકીના ઇન્ચાર્જ નંદ કિશોર ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાતના 20 સંગીતકાર સભ્યો ગુજરાત પરત ફરી રહ્યા હતા. શિવપુરીના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પુરપાટ આવતી બસ ડિવાઇડર સાથે અથડાઈ અને સામેના રસ્તા પરથી આવી રહેલા ટ્રક સામે અથડાઈ હતી.
આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ””મૃતકોમાં ગાયક હાર્દિક દવેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે રાજા ઠાકુર, અંકિત ઠાકુર અને રાજપાલ સોલંકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યું. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે
