બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાત
ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.વન અને વન્યસૃષ્ટીના સંરક્ષણ તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂ.180 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી મુખ્યમંત્રીએઉમેર્યું હતું કે, બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો આવનારા દિવસોમાં હાથ ધરાશે. વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પેટ્રોલિંગ તથા મોનિટરિંગ અને પ્રાણીઓના રેસક્યુ સહિતના કામો માટે 247 જેટલા નવા વાહનો વન વિભાગમાં ઉમેરાઈ રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે,રાજ્યની 24 જેટલી ઇકો ટુરીઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બૂકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેના પરિણામે સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદનોનું પણ વેચાણ વધશે.

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર વિશ્વ સિંહ દિવસના અવસરે નવા રહેઠાણ અને વન – પર્યાવરણ વિભાગની નવીન પરિયોજનાઓના લોકાર્પણની શુભકામના પાઠવી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેંદ્ર યાદવે કહ્યું હતું કે, ગૌરવની વાત છે કે એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે. વડાપ્રધાનશ્રીના પ્રકૃતિ સંરક્ષણના પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો ફળશ્રુતિ રૂપે સિંહો સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, બરડા વન્યજીવ અભયારણ્યમાં ઘણા દાયકાઓ બાદ સિંહોનો પુનઃ વસવાટ થતા બરડાની જૈવ વિવિધતામાં નવી ઊર્જાનો સંચાર થતા ઇકો ટુરીઝમમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળવાયુ પરિવર્તન સામે રક્ષણ માટે ‘મિશન લાઇફ’ તથા ‘એક પેડ માઁ કે નામ અભિયાન’ની શરૂઆત કરાવી છે. ‘એક પેડ મા કે નામ અભિયાન’ એ આપણી લાઈફ સ્ટાઈલ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને સુરક્ષા માટેનો સૌથી મોટો સંકલ્પ છે. એટલે મારો સૌને અનુરોધ છે કે વિકસિત ભારતના સંકલ્પને સાકર કરતાં તથા સમૃદ્ધ ભારતના નિર્માણમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં 143 વર્ષ પછી સિંહોનો પુનઃ વસવાટ થઈ રહ્યો છે. બરડામાં 400થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિર થી માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા છે. પરિણામે સિંહોએ બરડા અભયારણ્યને પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે.
આ પણ વાંચો : 2 બાળકોની માતા બન્યા બાદ ‘દયાભાભી’ના લુકમાં બદલાવ : ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંક્યા,અસિત મોદીના વિડીયોમાં દીકરીઓ પણ જોવા મળી

રૂ180.12 કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો તથા યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં બરડા અભયારણ્ય ખાતે મુખ્યમંત્રીશ્રીએ 248 હેકટર વિસ્તારમાં નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ પ્રવાસી સુવિધાઓ અંગેની જાહેરાત કરી હતી. આ સુવિધાઓ રૂપિયા 75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. .
