રાજકોટના લોકમેળાને આડે હવે માત્ર છ જ દિવસ બાકી : એક પણ રાઇડ્સ સંચાલકે NOC માટે નથી કરી પોલીસમાં અરજી
રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળામા ગત વર્ષે કડક SOPને લઈ છેલ્લી ઘડી સુધી દોડધામ બાદ પણ રાઈડસની મંજૂરી આપવામાં ન આવતા લોકમેળો રાઈડસ વગરનો રહ્યો હતો. જો કે, આ વર્ષે રાજ્ય સરકારે SOPમાં છૂટછાટ આપી હોવા છતાં પણ લોકમેળા આડે હવે માત્ર છ જ દિવસ બાકી રહ્યા હોવા છતાં ખાનગી કે રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળામાં રાઈડસ લગાવવા પ્લોટ મેળવનાર ધંધાર્થીઓ હજુ સુધી પોલીસમાં NOC માટે અરજી જ ન કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વે રેસકોર્સમાં જિલ્લા વહીવટીતંત્ર સંચાલિત લોકમેળા ઉપરાંત શહેરમાં અલગ-અલગ સ્થળોએ ખાનગી મેળા યોજાતા હોય છે. જેમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ફજત ફાળકા અને મોટી ચકરડી સહિતની રાઈડસ માટે ગત વર્ષે કડક SOP અમલી બનવતા ગત વર્ષે રાજકોટનો લોકમેળો રાઈડસ વગરનો રહ્યો હતો. જો કે, રાઈડસ સંચાલકોની સતત રજુઆત બાદ આ વર્ષે SOPમાં છૂટછટ જાહેર કરવામાં આવતા લોકમેળામાં ઈ, એફ, જે એન એચ કેટેગરીમાં રાઈડસ માટેના અલગ અલગ 34 પ્લોટની હરરાજી કરી લોકમેળા સમિતિએ પ્લોટની ફાળવણી કરી દીધી છે જેને ત્રણ દિવસ વીતવા છતાં હજુ સુધી એક પણ રાઈડસ સંચાલકે NOC માટે પોલીસમાં અરજી કરી ન હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 12મી ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : હજારો લોકો દેશભક્તિના રંગમાં રંગાશે
રાજકોટ પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાન્ચના પીઆઈ જે.એચ.દહિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે યોજાતા લોકમેળા કે અન્ય ખાનગી મેળાના આયોજનમાં રાઈડસ માટેની એક પણ અરજી તેમની કચેરીમાં આવી નથી. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા SOPમાં છૂટછાટ આપ્યા બાદ રાઈડસ સંચાલકો સાથે યોજેલી બેઠકમાં તમામ રાઈડસ સંચાલકોને એલોટમેન્ટ લેટર મળ્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવા જણાવાયું હતું છતાં પણ ગુરુવારે સાંજ સુધીમાં કોઈપણ ધંધાર્થીઓએ NOC માટે અરજી પણ ન કરી હોય હવે છેલ્લી ઘડીએ અફડાતફડીનો માહોલ સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે.SOPમાં છૂટછાટ મળ્યા બાદ પણ રાઇડસ સંચાલકોની ઢીલી નીતિ
