રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 12મી ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : હજારો લોકો દેશભક્તિના રંગમાં રંગાશે
આગામી 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ પૂર્વે રાજકોટ સહિત આખા ગુજરાતમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળવાની છે ત્યારે રાજકોટમાં તિરંગા યાત્રાના આ આયોજનને લઈને મહાપાલિકા તંત્ર ગોટે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આમ તો ગુજરાતમાં આજથી જ તિરંગા યાત્રાનો પ્રારંભ થઈ જવાનો છે ત્યારે રાજકોટમાં આ યાત્રા આવતીકાલે એટલે કે શનિવારે યોજવા માટે પ્રદેશસ્તરેથી લીલીઝંડી આપવામાં આવી હતી જો કે તંત્ર દ્વારા કાલે યાત્રાનું આયોજન થાય તો તૈયારી માટે પૂરતો સમય ન હોવા ઉપરાંત રક્ષાબંધનનું પર્વ હોવાનું કારણ આગળ ધરી અન્ય કોઈ દિવસે યાત્રા કાઢવા માટે મંજૂરી માંગવામાં આવી ત્યારે હવે રાજકોટમાં 12મી તારીખે મંગળવારે તિરંગા યાત્રા નીકળશે.આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર તિરંગા યાત્રાનું આયોજન કરવમાં આવ્યું છે.

તૈયારી માટે પૂરતો સમય ન હોવાથી અન્ય કોઈ દિવસે યાત્રા કાઢવા માટે મંજૂરી માંગવામાં આવી
તિરંગા યાત્રા કે મહાપાલિકાના આવા કોઈ પણ કાર્યક્રમ આયોજિત થાય એટલે તેનો પ્રારંભ રેસકોર્સ ખાતેથી થતો હોય છે. જો કે ત્યાં હાલ લોકમેળાની તૈયારીઓ ચાલી રહી હોય બધું ભેગું થઈ જવાની શક્યતા સરકાર સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી. જો શનિવારે તિરંગા યાત્રા નીકળે તો તંત્ર પાસે તૈયારી માટે અત્યંત ઓછો સમય રહે તે ઉપરાંત એક બાજુ મેળાની તૈયારી અને બીજી બાજુ તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી હોવાથી બધું ગોટાળે ચડી જાય તેમ હોવાથી બીજા કોઈ દિવસે યાત્રા કાઢવા માટે મંજૂરી આપવાનું કહેવાયું હતું.
આ પણ વાંચો : રાજકોટને હાઇકોર્ટની બેન્ચ માટે ફરી સળવળાટ : 27 વકીલની કમિટી રચાઇ, બોમ્બે HCએ કોલાપુરને બેન્ચ આપતા રાજકોટ બારના સભ્યો મેદાને
રાજકોટ 12મી ઓગસ્ટના દિવસે તિરંગા યાત્રા યોજવામાં આવશે
12મી ઓગસ્ટના દિવસે રાજકોટમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે. જેમાં સાંસદ, ધારાસભ્યો, મહાપાલિકાના અધિકારી-પદાધિકારીઓ સહીત રાજકોટની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાશે. તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગમાં રંગાઈ જશે. બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવશે.
છેલ્લા 3 વર્ષથી RMC દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવે છે
આ તકે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 12મી ઓગસ્ટના રોજ રાજકોટના રાજમાર્ગો પરથી તિરંગા યાત્રા નીકળશે. જે કોઈ પરિવારે તેના ઘર ઉપર તિરંગો લગાવવું હોય તે લોકોને વોર્ડ ઓફિસેથી નામ લખાવી અને તિરંગો લઈ જઈ શકશે. પદાધિકારીઓ કોર્પોરેટરો અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને રાજકોટની જાહેર જનતા પણ આ કાર્યક્રમની અંદર જોડાઈ શકશે.
