સાઈબર ફ્રોડ સામે સાવધાન : લોકો સાથે થઇ રહી છે 10 પ્રકારની છેતરપિંડી, જે કરી શકે છે ખિસ્સા ખાલી
ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI એ એક ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે, મોબાઈલ ફોન ધારક, નોકરી શોધી રહેલો યુવાવર્ગ, ઓનલાઈન રોકાણકાર અને બેંક ગ્રાહક એમ આ ચાર વર્ગના લોકો સાઈબર ઠગોના ટાર્ગેટ ઉપર છે.
એસ.બી.આઈ.એ કહ્યુ છે કે, સાઈબર ઠગ લોકોના ડર, લાલચ અને જલ્દી નિર્ણય લેવાની આદતનો બહુ આસાનીથી અને ચાલાકીપૂર્વક ફાયદો ઉઠાવે છે. આવા ઠગ પોતાને સરકાર, પોલીસ અથવા બેન્કના અધિકારી ગણાવીને અંગત માહિતી અથવા તો રૂપિયા પડાવી લ્યે છે.
બેન્કે એમ પણ કહ્યુ છે કે, અત્યારે જુદા જુદા 10 પ્રકારે છેતરપિંડી થઇ રહી છે. લોકોએ અજાણ્યા ફોન, એસ.એમ.એસ. અથવા ઈમેઈલ ઉપર અંગત માહિતી શેર ન કરવી જોઈએ. એક જવાબ કે પછી એક ખોટી ક્લિક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
કઈ રીતે થાય છે તમારી સાથે છેતરપિંડી
1) ટ્રાઈના અધિકારી બનીને ધમકી :
ફોન ઉપર એવું કહેવામાં આવે કે તમારા નંબરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થઇ રહી છે અથવા કે.વાય.સી. બાકી છે. તમારું સીમ બંધ કરી દેવામાં આવશે.
સત્ય : ટ્રાઈ નહી પણ ટેલીકોમ કંપની જ સીમ બંધ કરી શકે છે.
2) કસ્ટમમાં પાર્સલ અટવાયુ છે :
ફોન કરીને એવું કહેવામાં આવે છે કે તમારા નામનું ગેરકાયદેસર વસ્તુઓ સાથેનું પાર્સલ કસ્ટમમાં ફસાયુ છે. દંડ માંગવામાં આવે છે.
સલાહ : આવો ફોન તરત કાપી નાખવો અને સાઈબર હેલ્પલાઈનને જાણ કરવી
આ પણ વાંચો : શું રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગુટલીબાજો માટે CUG પ્લાન,કર્તાહર્તા કે વહીવટદાર કોણ ? જાણો શું છે સમગ્ર મામલો
3)ડિજીટલ એરેસ્ટ :
ઠગ પોલીસ બનીને કહે છે કે તમારી ઓનલાઇન પૂછપરછ કરવામાં આવશે અથવા ધરપકડ કરવામાં આવશે.
સત્ય : પોલીસ ક્યારેય ઓનલાઈન ધરપકડ કરતી નથી.
આ પણ વાંચો : રાજ્યમાં આ તારીખથી સારા વરસાદના સંકેત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
4) પરિવારમાંથી કોઈની ધરપકડ :
ફોન ઉપર એવું કહેવામાં આવે છે કે તમારા પરિવારના ફલાણાની ધરપકડ કરવામાં આવી છે અને તેને છોડાવવા માટે રૂપિયા આપવા પડશે.
સલાહ : પહેલા પરિવારના સભ્યો અંગે ખરાઈ કરી સત્ય જાણવું જરૂરી છે
5)જલ્દી પૈસાવાળા બનાવે તેવી સ્કીમ :
સોશિયલ મીડિયામાં શેરબજારમાં જંગી નફાની લાલચ આપવામાં આવે છે.
સત્ય : જંગી નફાની લાલચ છેતરપિંડી તરફ ઈશારો હોય છે
6) ઓનલાઈન નોકરીની લાલચ :
મોટી નોકરીની લાલચ આપીને રજીસ્ટ્રેશન ફી માગવામાં આવે છે
સત્ય : સાચી નોકરીમાં ક્યારેય પહેલા કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
7) લોટરી જીતી છે તેવું કહીને લાલચ :
મોબાઈલમાં કે ઈ મેઈલમાં તમે લોટરી જીતી છે તેવું કહેવામાં આવે અને પછી બેન્કની વિગત માગવામાં આવે.
સલાહ : આવા મેસેજને અવગણવો અથવા ડીલીટ કરી દેવો હિતાવહ છે.
8) ભૂલથી પૈસા મોકલાઈ ગયા હોવાનુ બહાનુ :
આમાં ફોન કરીને એવું કહેવામાં આવે છે કે, તમારા ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે. તમે તે પૈસા પાછા મોકલો
સલાહ : બેંકમાંથી ચકાસણી કરવી જરૂરી છે. તરત જ રૂપિયા પાછા ન આપવા.
9) કે.વાય સી. અપડેટ કરવાની સુચના :
એસ.એમ.એસ. કે પછી ઈ મેઈલ દ્વારા કે.વાય .સી. અપડેટ કરવા માટે લીંક મોકલવામાં આવે.
સત્ય : બેંક ક્યારેય લીંક મોકલીને કે પછી અજાણ્યા ફોનથી કે.વાય .સી. અપડેટ કરવા માટે કહેતી નથી.
10) નકલી ટેક્સ રીફંડ :
ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી બનીને ટેક્સ રીફંડનાં નામે બેંક ડીટેઇલ માગવામાં આવે છે.
સત્ય : ટેક્સ વિભાગ સરકારી નિયમ મુજબ જ ગ્રાહકનો સંપર્ક કરતો હોય છે.
