સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત : 11 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે, સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે
રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં સૌરાષ્ટ્રના નાગરીકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડુતોની રજુઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડુતોને કોણપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો : નકલી દવાના દુષણ સામે સરકાર અંતે જાગી : રાજ્ય બહાર થી આવતી આવી દવાઓની ચકાસણી માટે SOP તૈયાર કરવાની જાહેરાત
આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે.ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે.જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું.
ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા અને ખાસ રજા
રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને માટે 20 માંદગી રજા અને ૧૫ ખાસ રજા આપવામાં આવશે.
આ નિર્ણયનો કુલ 1282 કર્મચારીઓને લાભ મળશે જેમાં 1167શૈક્ષણિક અને 115 બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે.મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડીકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બિમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન 10 રજાઓ પુરા પગારમાં અથવા 20 રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે.
આ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતા 15 ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ લઇ જઈ શકાશે નહી તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
