ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે : પોલીસ-મનપાના પદાધિકારીઓને ગૃહમંત્રીનો આદેશ
આગામી 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં સ્કૂટર ચલાવનાર અને પાછળ બેસનાર એમ બન્ને માટે હેલમેટ પહેરવું ફરજિયાત બની જશે અને જો નિયમભંગ થશે તો દંડની ભરપાઈ કરવી પડશે તેવી જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવતા જ લોકોમાં દેકારો બોલી ગયો હતો. બીજી બાજુ શુક્રવારે ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ તેમજ મહાપાલિકાના પદાધિકારીઓ સાથે એક સંક્ષિપ્ત બેઠક કરી હતી જેમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે. આ કામગીરી એકલી પોલીસની નથી એટલા માટે મહાપાલિકા સહિતના તંત્રએ પણ તેમાં સહભાગી થવું પડશે.આ ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકોને પણ દંડ ફટકારવાનો આદેશ ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય બાબત એ છે કે આ બેઠક ટ્રાફિક સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે બાબતે મળી હતી પરંતુ તેમાં માત્રને માત્ર હેલમેટનો મુદ્દો જ ચર્ચાયો હતો અને ટ્રાફિક સમસ્યા વકરી કેમ રહી છે તે બાબતે કોઈ જ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી ન્હોતી ! વળી, ટૂંક સમયમાં રાજકોટના અલગ-અલગ ચોકમાં ટ્રાફિક સિગ્નલમાં પણ વધારો કરવાની સુચના અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ચૂંટણી પંચ આખા દેશની મતદાર યાદીમાં ‘સાફસૂફી’ કરશે : અંદાજે 100 કરોડ મતદાતાઓનું થશે વેરીફીકેશન

ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું કે લોકોની ટીકા સહન કરીને પણ હેલમેટ ડ્રાઈવ શરૂ કરવી જરૂરી છે સાથે સાથે લોકોને એ સમજણ પણ અપાવવી પડશે કે પોલીસનો હેતુ દંડ ઉઘરાવવા માટે નહીં બલ્કે લોકોનું જીવન બચાવવાનો છે. હેલમેટ ઝુંબેશને ક્રિએટિવ બનાવવા પોલીસ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ આંદોલનમાં જોડાવું પડશે.
