રાજકોટના લોકમેળાનો વિવાદ : ઘીના ઠામમાં ઘી પડી જશે! ગાંધીનગર ગયેલા ભાજપના શાસકોને મુખ્યમંત્રીએ આપી બાહેંધરી
રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીએ ભરાતાં ઐતિહાસિક લોકમેળાને જાણે કે ગ્રહણ લાગી ગયું હોય તેવી રીતે મેળાની શાન એવા ફજેતફાળકા મુકાશે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ સચોટ રીતે કહેવાની સ્થિતિમાં નથી. ફજેતફાળકા સહિતની રાઈડના સંચાલકો એસઓપીમાં બાંધછોડ કરવાની માંગ સાથે અડગ છે તો વહીવટી તંત્ર રાઈડ વગર મેળો યોજવાની તૈયારીમાં લાગેલી છે ત્યારે આ બધાની વચ્ચે એક રસપ્રદ ટવીસ્ટ આવ્યો છે. મહાપાલિકાના ભાજપના શાસકો, ધારાસભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા. આમ તો આ બેઠકનો એજન્ડા લોકમેળાનો વિવાદ ન્હોતો પરંતુ મેળાની વાત નીકળતાં જ મુખ્યમંત્રીએ ઝડપથી જ આ મુદ્દે રસ્તો કાઢવાની બાહેંધરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

ગુરૂવારે મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે સહિતનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. પોણો કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા ચાલી હતી પરંતુ એક પદાધિકારી દ્વારા જ્યારે મુખ્યમંત્રીને કહ્યું કે મેળાની રંગત દેશી ફજેતફાળકા વગર બિલકુલ ફીકી લાગશે સાહેબ ! આ સાંભળી ભૂપેન્દ્રભાઈ પટેલ હસી પડ્યા હતા અને તેમણે ક્ષણભરનો વિલંબ કર્યા વગર પદાધિકારીને કહી દીધું હતું કે ચિંતા ન કરો, બધું સરખું થઈ જશે !
આ પણ વાંચો : રાઇડ્સ સંચાલકોના કારણે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : રાઇડ્સ સંચાલક લોબીએ SOP હળવી કરવા પોલિટિકલ દબાણ શરૂ કર્યું
આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં જ સરકાર સ્તરેથી ફજેતફાળકા સહિતની રાઈડને લઈને આદેશ છૂટી શકે છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે સાંસદ રૂપાલા સહિતનાએ પણ અગાઉ સરકારનું ધ્યાન દોર્યું હતું.
આ પણ વાંચો : રાજકોટના નબીરાએ ગાંધીનગરમાં બેફામ કાર ચલાવી વૃધ્ધનો જીવ લીધો : પોલીસે કરી ધરપકડ
આ ઉપરાંત બેઠકમાં રાજકોટના રોડ-રસ્તા, બજેટમાં જાહેર કરાયેલી યોજનાને સમયસર પૂર્ણ કરવા, અધિકારીઓની સાથે જ પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો પણ ‘એક્ટિવ મોડ’માં કાર્ય કરે, પૈસાના વાંકે કોઈ જ કામ ન અટકે તે જોવા સહિતની તાકિદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. શાસકોએ ચોમાસા બાદ રોડ-રસ્તાના કામ માટે ફાળવાતી ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ રાખતાં તેને પણ મહદ અંશે મંજૂરી આપવામાં આવી હતી. એકંદરે રોડ-રસ્તાના કામમાં ક્યાંય કચાશ ન રહી જાય તે જોવા મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.
કાંઈ ઘટતું હોય તો કહો
મુખ્યમંત્રીએ રાજકોટના પદાધિકારીઓને હળવી શૈલીમાં એમ પણ કહ્યું હતું કે વિકાસ માટે કાંઈ ઘટતું હોય તો કહો… પૈસાની ચિંતા બિલકુલ કરતા નહીં. વિકાસ માટે જોઈએ તેટલી ગ્રાન્ટ સરકાર ફાળવવા માટે તૈયાર હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ટીકાઓનો સામનો કરીને જ આપણે વિકાસ કરવાનો છે એટલા માટે માત્રને માત્ર કામ ઉપર જ ધ્યાન આપવાનું છે.
