Asia Cup 2025 : 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપ : ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આવતાં સપ્તાહે થશે જાહેર
પહલગામ આતંકી હુમલો ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ બાદ બન્ને દેશના સંબંધ પૂર્ણ થવાની અણી પર છે. આ મુદ્દાની અસર રમત-ગમત ઉપર પણ પડી રહી છે. એશિયા કપ જેવી મહત્ત્વની ટૂર્નામેન્ટના આયોજન પર તલવાર લટકી રહી છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ટૂર્નામેન્ટના આયોજનને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)ની આશા વધવા લાગી છે અને એટલા માટે તેણે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી એશિયા કપ-2025નું આયોજન કરવાનું મન બનાવી લીધું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસ પર હુમલો કરનારી ગેંગે બૂટલેગરના પુત્ર પર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કર્યા, વાંચો શું છે સમગ્ર મામલો
અગાઉથી નક્કી કાર્યક્રમ પ્રમાણે એશિયા કપ-2025નું યજમાન ભારત રહેશે સાથે સાથે આવતાં વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી આ વખતે ટૂર્નામેન્ટને ટી-20 ફોર્મેટમાં રમાડવામાં આવશે. જો કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના હાઈબ્રિડ આયોજન બાદથી જ નક્કી થઈ ગયું હતું કે ભારતે પણ હાઈબ્રિડ મોડેલ ઉપર જ ટૂર્નામેન્ટની યજમાની કરવી પડશે મતલબ કે પાકિસ્તાન ભારતમાં રમવા આવશે નહીં અથવા તો તે સંપૂર્ણપણે બહાર કરવું પડશે. આટલું ઓછું હોય તેમ પહલગામ આતંકી હુમલા બાદ ભારત આ ટૂર્નામેન્ટનું યજમાન બને તેવી શક્યતા ન બરાબર છે.
આ પણ વાંચો : સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!
જો કે એસીસીએ આશા વ્યક્ત કરી છે કે 10 સપ્ટેમ્બરથી 6 ટીમવાળી આ ટૂર્નામેન્ટ રમાઈ શકે છે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને યુએઈની ટીમ ભાગ લેશે. આ અંગેનો અંતિમ નિર્ણય જૂલાઈના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે. એટલું જ નહીં ટૂર્નામેન્ટના વેન્યુ તરીકે ફરી એક વખત યુએઈનું નામ આગળ ચાલી રહ્યું છે. પાછલી ટૂર્નામેન્ટ 2023માં આયોજિત થઈ હતી જે હાઈબ્રિડ મોડેલ પર રમાઈ હતી કેમ કે ટૂર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન હતું પરંતુ પાકિસ્તાન પાસે પણ ટીમ ઈન્ડિયાએ ફાઈનલ સહિત પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.