જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
જય જગન્નાથજી…નાં ગગનભેદી નાદ સાથે નગરનાં નાથની ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળી હતી.ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળતાં “જય રણછોડ”નાં જયનાદ સાથે 26 કી. મી. લાંબી રથયાત્રામાં શહેરના ચોકે ચોકે ભક્તોએ અબીલ,ગુલાલ,કંકુની છોળો અને અક્ષત-ફૂલોથી નાથની નગરચર્યાને વધાવી હતી.

વહેલી સવારે કૈલાશધામ આશ્રમ ખાતે આવેલા જગન્નાથ મંદિરથી પરંપરાગત રથયાત્રા શરૂ થઈ હતી. નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનાં રજવાડી રથને નગરજનોએ ખુલ્લા પગે ખેંચ્યો હતો. સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રક,અખાડા,ભજન મંડળી સાથે બેન્ડબાજાની સુરાવલીઓ સાથે નિર્ધારિત રૂટ પરથી રથયાત્રા પસાર થઈ હતી.

18મી રથયાત્રામાં સતત બીજા વર્ષે અઘોરીઓ દ્વારા રસ્તા પર નૃત્ય સાથે અવનવા કરતબો કરવામાં આવ્યા હતા જે ભાવિકો માટે આકર્ષણ બન્યા હતા.

કૈલાશધામ આશ્રમ ખાતે રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજા અને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનાં હસ્તે પૂજા આરતી સાથે પહિંદ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રથયાત્રામાં સાધુ સંતોની સાથે શહેરીજનો પણ ભક્તિમાં લીન થયા હતા. આ રથયાત્રામાં સાધુ સંતો દ્વારા પણ અવનવા કરતબો રજૂ કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન શિવજી,શ્રીકૃષ્ણ, રાધા-કૃષ્ણ અને હનુમાનજીની વેશભૂષા ભાવિકોને ધારણ કરી રથયાત્રામાં જોડાયા હતા.26 કિલોમીટરની આ રથયાત્રામાં શહેરના રાજમાર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

નાના મવાથી શરૂ કરીને મોકાજી સર્કલ, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ,જે.કે.ચોક આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, બાપા સીતારામ ચોક ,હનુમાન મઢી ચોક,આમ્રપાલી અન્ડરબ્રિજ, કિસાનપરા થઈ જિલ્લા પંચાયત ચોક,સદર, હરિહર ચોક ત્રિકોણ બાગ સહિતનાં વિસ્તારોમાં પસાર થઈ હતી ત્યારબાદ બપોરે પેલેસ ખાતે વિરામ પામી સાંજે નિજ મંદિર પહોંચશે.સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઈ ભારદ્વાજ પરિવાર દ્વારા છપ્પનભોગ ઘરાવી સાધુ સંતો માટે ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ

