રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
રાજકોટમાં કોરોના હવે ડરાવી રહ્યો હોય તેવી રીતે દરરોજ નવ કેસ જ જાહેર કરવાનું બાંધણું કરવામાં આવ્યું હોય તે રીતે નવા નવ દર્દી મળ્યા છે પરંતુ આ નવમાંથી એક દર્દીને વેન્ટીલેટર ઉપર લઈને સારવાર આપવામાં આવી રહ્યાનું જાહેર કરાતાં સ્થિતિ ખરેખર ચિંતાજનક હોવાનું લાગ્યા વગર રહેતું નથી. વોર્ડ નં.9ની એ.જી.સોસાયટી પાસે રહેતા 69 વર્ષીય વૃદ્ધ કે જેમણે વેક્સિનના બે ડોઝ લીધાં છે અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રિ પણ ન હોવા છતાં કોરોનાગ્રસ્ત થયા બાદ તબિયત વધુ બગડતાં વેન્ટીલેટર ઉપર લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત વોર્ડ નં.2ની પ્રગતિ સોસાયટીમાં 16 વર્ષીય બાળકી અને 50 વર્ષીય મહિલા કે જેમણે બન્નેએ વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ લીધાં છે અને ટ્રાવેલ હિસ્ટ્રિ પણ નથી છતાં કોરોનાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે વોર્ડ નં.7ના કિસાનપરામાં 36 વર્ષીય યુવતી, વોર્ડ નં.3માં 64 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.10માં આવેલા સરકારી વસાહત ક્વાર્ટરમાં 63 વર્ષીય વૃદ્ધા, વોર્ડ નં.6ની શક્તિ સોસાયટીમાં 47 વર્ષીય મહિલા, વોર્ડ નં.6ના ભોમેશ્વરમાં 69 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.9ના હરિનગરમાં 85 વર્ષીય વૃદ્ધને કોરોના થયો છે.

જ્યારે વોર્ડ નં.9ની એ.જી.સોસાયટીમાં કોરોનાગ્રસ્ત 69 વર્ષીય વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર સારવાર આપવામાં આવી રહી છે તેમના ચારેક વર્ષથી ફેફસા ખરાબ હોવાનું તેમજ વારંવાર હોસ્પિટલમાં દવા લેવા જવાને કારણે કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડના કારણે સર્જાઇ દુર્ઘટના : 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પટકાયા, 5 લોકોના મોત
એકંદરે તા.19-5-2025થી અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના કુલ 95 કેસ નોંધાયા છે જેમાંથી 44 દર્દી સાજા થઈ ગયાનું અને 51 દર્દી હાલ સારવાર હેઠળ હોવાનું મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.