Pearl Harbor attack : રશિયા પરના યુક્રેનના હુમલાને શા માટે કહેવાય છે પર્લ હાર્બર મોમેન્ટ? જાણો ઇતિહાસ
તાજેતરમાં યુક્રેને રશિયાના વિવિધ એર બેઝ પર હુમલા કરીને તેના 41 લડાકુ વિમાનોનો નાશ કર્યો તે ઘટનાને “રશિયાની પર્લ હાર્બર મોમેન્ટ ” ગણાવવામાં આવે છે. ત્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને પર્લ હાર્બર ટાપુ પર તૈનાત અમેરિકન નૌકાથાણા પર કરેલા હુમલાને યાદ કરવાનું પ્રાસંગિક બની રહેશે.જાપાનના એ હુમલાનું ઐતિહાસિક મહત્વ છે. એ હુમલાને કારણે અમેરિકા બીજા વિશ્વ યુદ્ધમાં સામેલ થયું હતું.એ જ હુમલાનો બદલો લેવા અમેરિકાએ જાપાનના બે શહેરો પર અણુબોમ્બ ઝીંક્યા હતા અને પર્લ હાર્બર પરના હુમલા બાદ અમેરિકાએ લીધેલા વળતાં આક્રમક પગલાને કારણે જ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો.
1930ના દાયકામાં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. યુરોપમાં એક્સિસ પાવર્સ એટલે કે જર્મની (નાઝીઓ), ઇટાલી (ફાસિસ્ટ) અને જાપાનની ધરી મિત્ર રાષ્ટ્રો (એલાઇડ પાવર્સ) સામે લડી રહ્યા હતા. જાપાન એશિયામાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંગતું હતું. 1931માં જાપાને ચીનના મંચુરિયા પર કબજો કર્યો અને 1937માં ચીન પર પૂર્ણ-સ્કેલ હુમલો કર્યો. જાપાનનું ધ્યેય “ગ્રેટર ઇસ્ટ એશિયા કો-પ્રોસ્પેરિટી સ્ફીયર” નામે એશિયામાં વર્ચસ્વ સ્થાપવાનું હતું અને તે માટે તેલ, રબર અને લોખંડ જેવા સંસાધનો જરૂરી હતા.

જાપાન એ સમયે મોટી લશ્કરી તાકાત ગણાતું હતું
તેની પાસે શક્તિશાળી નૌકાદળમાં 64 સબમરીન,10 એરક્રાફ્ટ કેરિયર્સ, 12 યુદ્ધજહાજો, 38 ક્રૂઝર્સ, 108 ડિસ્ટ્રોયર્સ અને ઝીરો ફાઇટર પ્લેન્સ જેવા અદ્યતન ઝડપી વિમાનો હતા. જાપાની સેનાના 17 લાખથી વધુ સૈનિકો એશિયા-પેસિફિકમાં આક્રમણ માટે તૈયાર હતા.
જાપાન અને અમેરિકા વચ્ચે તણાવ
જાપાન એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું હતું. જર્મની અને ઇટાલી સાથે તેનું ગઠબંધન હતું.એશિયામાં એકચક્રી વર્ચસ્વ પ્રાપ્ત કરવાની જાપાનની મહત્વાકાંક્ષા હતી.એ સંજોગોમાં જાપાનની આક્રમકતાને રોકવા અમેરિકાએ 1940માં આર્થિક પ્રતિબંધો લાદ્યા, જેમાં તેલ, સ્ટીલ અને લોખંડની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો. એ પ્રતિબંધોની જાપાનની અર્થવ્યવસ્થા અને લશ્કર પર ભારે અસર પડી.1941માં જાપાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. અમેરિકાએ જાપાનને ચીનમાંથી પાછું હટી જવા જણાવ્યું પરંતુ જાપાને ઇનકાર કર્યો. આ મંત્રણાઓ ચાલતી હતી ત્યારે જાપાને ગુપ્ત રીતે પર્લ હાર્બર પર હુમલાની યોજના ઘડી.અને તેનું નિશાન હતું પર્લ હાર્બર.

વાટાઘાટો ચાલુ હતી અને જાપાને કર્યો અણધાર્યો હુમલો
પર્લ હાર્બર હવાઈ ટાપુઓના ઓઆહુ ટાપુ પર પેસિફિક મહાસાગરમાં અમેરિકાનું સૌથી મહત્વનું નૌકાસ્થળ હતું.આ સ્થળ અમેરિકાના પેસિફિક ફ્લીટનું ઘર હતું, જે જાપાનની એશિયાઈ આક્રમકતાને રોકવા રણનીતિક રીતે ખૂબ મહત્વપૂર્ણ હતું. 1940માં, અમેરિકાએ પોતાનું પેસિફિક ફ્લીટ કેલિફોર્નિયાથી પર્લ હાર્બર ખસેડ્યું હતું જે જાપાન માટે ખતરો બની ગયું હતું.અને જાપાનના એડમિરલ ઇસોરોકુ યામામોટોએ એ જ સ્થળે ઘા કરવાનું નક્કી કર્યું.એક તરફ અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ હતી ત્યારે જ જાપાને વિશ્વાસઘાત કરીને હુમલો કર્યો જેના વિશ્વ સ્તબ્ધ થઈ તેવા ભયાનક પડઘાં પડવાના હતા.

અણધાર્યો હુમલો,અમેરિકા ઊંઘતું ઝડપાયું અને થયું અકલ્પ્ય નુકસાન
7 ડિસેમ્બર, 1941ની સવારે જાપાને હુમલો કર્યો. જાપાન 6 એરક્રાફ્ટ કેરિયર્સ – અકાગી, કાગા, સોર્યુ, હિર્યુ, શોકાકુ, ઝુઇકાકુ, 350થી વધુ વિમાનો, સબમરીન અને નાના જહાજો સાથે ત્રાટક્યું. પ્રથમ હુમલો સવારે 7.55 વાગ્યા થયો.એ હુમલામાં ટોર્પિડો બોમ્બર્સ, ડાઇવ બોમ્બર્સ અને 183 ફાઇટર વિમાનો યુએસ નેવીના યુદ્ધ જહાજો, એરફિલ્ડ્સ અને અન્ય સૈન્ય સ્થાપનાઓ થાણાંઓ પર ત્રાટક્યા.પર્લ હાર્બર માં તૈનાત અમેરિકી સેનાએ આ હુમલાની કલ્પના પણ નહોતી કરી.અણધાર્યા હુમલાથી અમેરિકા ઊંઘતું ઝડપાયું. એ આઘાતમાંથી બહાર આવે તે પહેલા 8.50 વાગ્યે 171 જાપાની વિમાનોએ બાકી રહી ગયેલા હેંગર્સ, રિપેર શોપ્સ અને અન્ય સુવિધાઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.બન્ને તબક્કાના 90 – 90 મિનિટના હુમલા પૂરા થયાં ત્યારે અમેરિકી થાણામાં સળગી ગયેલા વિમાનો, યુદ્ધ જહાજો અને લશ્કરી સુવિધાઓના કાળા ધબ્બ કાટમાળ સિવાય કાંઈ બચ્યું નહોતું. આ હુમલામાં 2,403 અમેરિકન સૈનિકો અને નાગરિકો માર્યા ગયા.1,178 લોકો ઘાયલ થયા.અમેરિકાના મુખ્ય 8 યુદ્ધ જહાજો,3 ક્રૂઝર, 3 ડિસ્ટ્રોયર અને અન્ય જહાજો નાશ પામ્યા. આ એક જ હુમલામાં અમેરિકાએ 188 વિમાનો સંપૂર્ણપણે નષ્ટ થયા.159 વિમાનોને નુકસાન થયું.એકલા એરિઝોના જહાજમાં જ 1177 અમેરિકી સૈનિકો શહીદ થયા.અમેરિકાના ત્રણ મુખ્ય એરક્રાફ્ટ કેરિયર્સ એન્ટરપ્રાઇઝ, લેક્સિંગ્ટન, સારાટોગા તે દિવસે બંદરમાં નહોતા એટલે બચી ગયા.
આ પણ વાંચો : Operation Sindoor : કેટલો હોય શકે ઓપરેશન સિંદુરનો સંભવિત ખર્ચ? જાણીને તમે પણ ચોંકી જશો
અમેરિકાની બીજા વિશ્વ યુદ્ધમાં એન્ટ્રી અણુ હુમલો અને યુદ્ધનો અંતે અંત
પર્લ હાર્બર પરના હુમલા સુધી અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો નહોતો પણ આ હુમલાથી અમેરિકા સ્તબ્ધ થઈ ગયું .ચાલુ વાટાઘાટે જાપાને દગો, વિશ્વાસઘાત કર્યો તેનો રોષ હતો.બીજા દિવસે 8 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે “ઇન્ફેમી સ્પીચ” આપી. તેમણે 7 ડિસેમ્બરને “અપમાનનો દિવસ” ગણાવ્યો. અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું.તેમણે કહ્યું,” “આ હુમલાને કારણે અમેરિકન નૌકાદળ અને સૈન્યને ગંભીર નુકસાન થયું છે. મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ઘણા અમેરિકન જીવનો ગુમાવ્યા છે.

હું કોંગ્રેસને વિનંતી કરું છું કે તેઓ જાપાનના સામ્રાજ્ય દ્વારા રવિવાર, ડિસેમ્બર 7, 1941ના રોજ કરવામાં આવેલા આ અઘોષિત અને ઘાતકી હુમલાને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અસ્તિત્વમાં છે તેવું જાહેર કરે.” તેમણે સંકલ્પ જાહેર કર્યો, “અમેરિકન લોકોની એકતા અને અજેય શક્તિ સાથે, આપણે આ યુદ્ધમાં સંપૂર્ણ વિજય મેળવીશું, જેથી આપણે ખાતરી કરી શકીએ કે આવા વિશ્વાસઘાતનું પુનરાવર્તન ન થાય.”;કોંગ્રેસે એક મત સિવાય સર્વસંમતિથી જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી. 18 એપ્રિલ, 1942ના રોજ, લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ ડૂલિટલના નેતૃત્વમાં અમેરિકાએ ટોક્યો અને અન્ય જાપાની શહેરો પર હવાઈ હુમલા કર્યા, જેનાથી જાપાનનું મનોબળ તૂટ્યું.અમેરિકાએ લગાતાર જાપાન ઉપર હુમલા કર્યા.અમેરિકાની એન્ટ્રીથી યુદ્ધનું સ્વરૂપ બદલાયું, મિત્ર રાષ્ટ્રો મજબૂત થયા.જૂન 1942માં, અમેરિકાએ મિડવે ખાતે જાપાનના નૌકાદળને હરાવ્યું, જેમાં 4 જાપાની એરક્રાફ્ટ કેરિયર્સ ડૂબી ગયા. આ યુદ્ધ ટર્નિંગ પોઇન્ટ હતું. અમેરિકા જાપાન ઉપર હાવી થઈ ગયું હતું. 6 અને 9 ઓગસ્ટ, 1945ના રોજ, અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર એટમ બોમ્બ ફેંક્યા.વિશ્વમાં અત્યાર સુધીમાં થયેલા એ એકમાત્ર અણુ હુમલામાં લાખો લોકો માર્યા ગયા. અણુ બોમ્બે વરેલો વિનાશ જોઈ વિશ્વ સ્તબ્ધ બની ગયું. 2 સપ્ટેમ્બર, 1945ના રોજ જાપાને આત્મસમર્પણ કર્યું, અને એ સાથે જ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું.
એરિઝોનના આંસુ: ડૂબેલા જહાજ પરનું સ્મારક
એરિઝોના જહાજને બે ભાગમાં કટકા થઈ ગયું હતું. એ જહાજ સાથે 1177 સૈનિકોએ જળ સમાધિ લીધી હતી.જહાજ એટલું નાશ પામ્યું કે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાયું નહીં, અને તે પાણીમાં જ રહેવા દેવાયું.આજે, યુએસએસ એરિઝોના પર્લ હાર્બરમાં પાણીમાં ડૂબેલી હાલતમાં છે, અને તેની ઉપર 1962માં યુએસએસ એરિઝોના મેમોરિયલ બનાવાયું છે.આ સ્મારક એક સફેદ પુલ જેવી રચના છે, જે જહાજના અવશેષો ઉપર બનેલું છે, જ્યાંથી મુલાકાતીઓ 1,177 મૃત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. જહાજમાંથી હજુ પણ તેલનાં ટીપાં બહાર આવે છે, જેને “એરિઝોનાના આંસુ” કહેવાય છે.