રાજકોટ જિલ્લામાં આઠ સિંહોનો વેકેશન વસવાટ
ચાર બચ્ચા સાથે બે માદા અને બે નર સિંહોની ડણક
ગીરમાં પાણીની તંગીને લઈ માર્ચથી મે મહિના દરમિયાન જેતપુર-ધોરાજી પંથકમાં ડાલાંમથ્થાના ડેરાતંબુ
રાજકોટ : દેશમાં એક માત્ર ગીરના જંગલમાં જ વસવાટ કરતા એશિયાટિક લાયનની આગામી તા.10થી તા.12 મે દરમિયાન વસતી ગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે આ વસતી ગણતરીમાં ગીરના સાવજોના મામાના ગામ એટલે કે, રાજકોટ જિલ્લામાં પણ ગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ગીરના જંગલમાં સિંહનો વસતી વ્યાપ વધ્યો છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલમાં પાણીની સ્ત્રોત ઓછા હોવાથી દર વર્ષે માર્ચથી મે મહિનાના સમય ગાળામાં ડાલામથ્થા સાવજો રાજકોટ જિલ્લામાં જેતરપુર અને ધોરાજી તાલુકામા આવતા હોય વનવિભાગ દ્વારા અહીં પણ સિંહોની હાજરી પુરવા ગણતરી કરવામાં આવશે.
ભારતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને ગીર અભ્યારણ્યમાં માફક આવી ગયું છે સાથે જ વનવિભાગ દ્વારા લેવામાં આવી રહેલા પગલાં તેમજ શિકારની પ્રવૃત્તિ ઉપર રોક લાગતા પાછલા વર્ષોમાં ગીરના જંગલોમાં ઉત્તરોત્તર સિંહની વસ્તી વધવા લાગતા ડાલામથ્થા સાવજોને હવે જંગલ વિસ્તાર ટૂંકો પડી રહ્યો હોવાથી છાસવારે ફોરેસ્ટ રેન્જમાંથી સાવજો આજુબાજુના રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોવાના બનાવો બને છે. જો કે, જૂનાગઢ જિલ્લાની હદ સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના જેતપુર અને ધોરાજી પંથકમાં તો અવાર-નવાર સિંહ આવી રહ્યા છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે માર્ચથી મે મહિનાના ઉનાળાના દિવસોમાં ગીરના જંગલમાંથી સિંહ વેકેશન માણવા આવતા હોય છે. ચાલુ વર્ષે પણ જેતપુરના અમરાપર અને પીઠડિયામાં સિંહોની હાજરી નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં ઉનાળામાં પાણીની અછત વચ્ચે સિંહો પાણીની શોધમાં રાજકોટ જિલ્લામાં વિશેષ કરીને જેતપુર પંથકમાં વધુ પ્રમાણમાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં બે ચાર બચ્ચા સાથે બે સિંહણ તેમજ બે સિંહ આવ્યા હતા અને છેલ્લે પંદર દિવસ પૂર્વે જેતપુરના અમરાપર ગામની સીમ વિસ્તારમાં સિંહોની હાજરી નોંધાઈ હતી. જો કે ડાલામથ્થા સાવજોને જ્યાં સુધી કનડગત કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ કોઈપણ જગ્યાએ સ્થિર રહેતા હોવાનું અને અડચણ થાય તો તે વિસ્તાર છોડી આગળ જતા રહેતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સિંહોની વસતી ગણતરી દરમિયાન રાજકોટ વન વિભાગ પણ જોડાનાર હોવાનું જાણવા મળે છે.
ભૂતકાળમાં આજીડેમ સુધી પહોંચ્યા હતા સાવજ
રાજકોટ વન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં સમયાંત્તરે સિંહો આવતા હોવાનું નોંધાયું છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની હદ નજીકમાં જેતપુર અને ધોરાજીમાં સિંહની આવન-જાવન હોવાની સાથે જ ભૂતકાળમાં ચારેક વર્ષ પૂર્વે રાજકોટના આજીડેમ સુધી ગીરના સાવજો પહોંચ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, રાજકોટમાં સિંહનું આગમન ચોટીલા તરફથી થયું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 674 સિંહ
રાજ્યમાં છેલ્લા બે દાયકામાં સિંહોની વસ્તી બમણા જેટલી થઇ હોવાના આંકડા સામે આવ્યા છે. વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા મળી કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં રાજ્યમાં કુલ 674 જેટલા સિંહોની વસ્તી હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.