પાકિસ્તાનના વડાપ્રધાનને તેમના ભાઈ નવાઝ શરીફે યુધ્ધ વિષે શું કહ્યું ? વાંચો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તંગદિલીનો માહોલ છે. ભારત હુમલાનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને એમની પાર્ટીના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. તેમજ શાંતિપૂર્ણ ઉકેલો લાવવા અપીલ કરી છે. ભારત સાથે યુધ્ધ કરવાનું વિચારી શકાય જ નહિ.
ઈસ્લામાબાદમાં રવિવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અધ્યક્ષ નવાઝ શરીફને વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ બોલાવવામાં આવી હતી. જેમાં શાહબાઝે નવાઝ શરીફને જણાવ્યું કે, આ એક ફોલ્સ ફ્લેગ ઓપરેશન હતું. જે ભારતીયો દ્વારા જાણીજોઈને કરવામાં આવ્યું હતું. જેથી અસ્થિરતાનો માહોલ ઉભો કરી શકાય. ભારતના આ આકરા પગલાંથી બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ વધ્યું છે.
શાહબાઝે કહ્યું કે, આતંકવાદને પોષનારૂ પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ છે. પરંતુ દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરીશું નહીં. જો કે, બીજી તરફ નવાઝ શરીફે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા ઉકેલ શોધવા હિમાયત કરી હતી. નવાઝ આક્રમક વલણ અપનાવવા માગતા નથી.
પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, નવાઝ શરીફે વડાપ્રધાનને શાંતિપૂર્ણ ઉકેલો શોધવા અપીલ કરી છે. તેઓ યુદ્ધ ઈચ્છતા નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકાર આ હુમલા બાદ સતત પોતાના જ નિવેદનો પરથી પલટી મારી રહી છે. તેના વિદેશ મંત્રી સહિતના ઘણા નેતાઓ ભારતને આકરો જવાબ આપવાની તૈયારી બતાવી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન શાહબાઝ ઘડીક યુદ્ધ માટે તૈયાર હોવાનો સંકેત આપે છે, તો હવે પોતે શાંતિની અપીલ કરે છે.