રાજકોટ : બંધ યાજ્ઞિક રોડ કરાયો’ને ટ્રાફિક ટેરર એસ્ટ્રોન ચોકમાં સર્જાવા લાગ્યો ! વાહનચાલકો હેરાન-પરેશાન
રાજકોટ મહાપાલિકા દ્વારા સર્વેશ્વર ચોકમાં વોંકળાને ડાયવર્ટ કરવી નવું બોક્સ કલ્વર્ટ બનાવવાનું હોવાથી પોલીસ દ્વારા ચાર મહિના સુધી રામકૃષ્ણ ડેરીથી રાજકોટ કલરલેબ સુધીનો રસ્તો બંધ કરવાનું જાહેરનામું અમલી બનાવી દેવામાં આવ્યું હોય પ્રથમ દિવસે જ ભયાનક ટ્રાફિક ટેરર જોવા મળ્યો હતો. એકંદરે યાજ્ઞિક રોડ બંધ કરી દેવાતાં ત્યાંના તમામ વાહનોનું ભારણ એસ્ટ્રોન ચોક પર આવી પડતાં દર દસ મિનિટે વાહનોના થપ્પા લાગી રહેલા જોવા મળ્યા હતા.
અમુક વાહનચાલકો યાજ્ઞિક રોડનો અમુક ભાગ બંધ હોવાનું ‘ભૂલી’ જતાં રામકૃષ્ણ ડેરી સુધી પહોંચી તો ગયા હતા પરંતુ રસ્તો બંધ હોવાને કારણે તેમણે તુરંત જ પોતાનું વાહન 20-જાગનાથ તરફ વાળ્યું હતું. અહીંથી એસ્ટ્રોન ચોક સુધી એક બાદ એક વાહનો પહોંચવા લાગતાં મોટાપાયે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો.
બીજી બાજુ ચાર મહિના સુધી જાહેરનામું અમલમાં રહેનાર હોવાથી ટ્રાફિકજામ થવાનો પોલીસને બરાબરનો ખ્યાલ હોવા છતાં એસ્ટ્રોન ચોક અથવા તો જ્યાં જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં ન આવતાં તેની અસર પણ જોવા મળી હતી. વોંકળાને ડાયવર્ટ કરવાનું કામ ભલે એક નાના એવા કટકામાં કરવામાં આવી રહ્યું હોય પરંતુ એ નાના રોડના કટકા પરથી દરરોજ હજારો વાહન પસાર થઈ રહ્યા હોય તેમણે લાં…બી પ્રદક્ષિણા કરવી પડી હતી. અધૂરામાં પૂરું સાંકડા રસ્તે એસ.ટી.બસ પણ દોડવા લાગતાં નાના વાહનચાલકોનો મરો થઈ જવા પામ્યો હતો. કંઈપણ થાય ૧૨૦ દિવસ સુધી હવે રાજકોટીયન્સે આ ‘ત્રાસ’ સહન કરવો જ પડશે.