આવતીકાલે રામનવમી: જયશ્રી રામનાં જયઘોષ સાથે રાજકોટમાં નીકળશે શોભાયાત્રા, 2100 કિલો ફૂલોથી થશે અભિષેક
રામલ્લાનાં જન્મોત્સવને ઉજવવા રાજકોટ બન્યું રામમય:ઠેર ઠેર શોભાયાત્રાનું થશે સ્વાગત,ઇસ્કોન મંદિરમાં રામદરબારનું આગમન:મંદિરોમાં શણગાર,દીપોત્સવ,પંજરી પ્રસાદનું વિતરણ
આવતીકાલે ભગવાન રામલલ્લાનાં જન્મોત્સવને વધાવવા રાજકોટ રામમય બની ગયું છે.મંદિરોમાં શણગાર સાથે આવતીકાલે રાનવમીના વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે.વિહિપ પ્રેરિત શોભાયાત્રા આવતીકાલે ભગવાન શ્રી રામ જય રામ…ની ઘુન સાથે નીકળશે.જેનું શહેરનાં વિવિધ રાજમાર્ગો પર સ્વાગત કરવામાં આવશે.
આ વર્ષે તારીખ 06 એપ્રિલ રવિવાર ના રોજ રામનવમી નો તહેવાર આવે છે. શહેરના કાલાવડ રોડ પર સ્થિત ઇસ્કોન મંદિર રાજકોટ નો રામનવમી ના દિવસે 22મોં બ્રહ્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ અંગે માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે રામનવમી ના દિવસે ઇસ્કોન મંદિર રાજકોટ, દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર ના અવિર્ભાવ તેમજ મંદિર ના 22માં બ્રહ્મોત્સવ ની એમ બેવડી ખુશી મનાવવા જઈ રહ્યું છે.
ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે ભગવાન શ્રી શ્રી સીતારામ લક્ષ્મણ હનુમાનજી નો રામ દરબાર પણ આવેલ છે માટે ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે રામનવમી ના પર્વ ની ખૂબ જ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ માટે રાજકોટ ની જનતા માટે અનેક સુંદર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. સાંજે 4 થી 6 ભક્તિમય અને સુમધુર કીર્તન, વિશેષ ભગવાન શ્રીરામ ની આરતી અને સાંજે 8:00 વાગે 2100 કિલો વિવિધ પ્રકાર ના સુગંધિત ફૂલો થી ભગવાન શ્રી રામચંદ્ર નો પુષ્પ અભિષેક નું આયોજન કરવામાં આવેલ છે. સાંજે 5 વાગ્યાં થી સર્વ દર્શનાર્થીઓ માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.