પંજાબ : અમૃતસરમાં મંદિર પર મધરાત્રે થયો હુમલો, બાઇક સવાર શખ્સોએ કર્યો ગ્રેનેડ અટેક ; પોલીસ તપાસ શરૂ
પંજાબના અમૃતસરમાં એક મંદિર ઉપર ગ્રેનેડ વડે હુમલો થતાં ભારે ભય ફેલાયો હતો.સદભાગ્યે, એ સમયે મંદિરમાં હાજર પૂજારી બચી ગયા હતા. આ ઘટના પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ આ બનાવમાં અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલા ઠાકુરદ્વારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.14 તારીખની રાત્રે 12.35 વાગ્યે એક ધ્વજ સાથે મોટરસાયકલ પર બે શખ્સો આવ્યા હતા અને મંદિર ઉપર ગ્રેનેડ ફેંકી નાસી ગયા હતા.ગ્રેનેડ બોમ્બ ફૂટતાં થયેલા ભયંકર વિસ્ફોટને કારણે આસપાસના વિસ્તારના રહીશો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.આખી ઘટના સી સી ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફોરેન્સિક ટીમ સહિતની ટુકડીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. તંત્રએ લોકોને ગભરાટ ન અનુભવવા તેમ જ અફવાઓ પર ધ્યાન ન દેવા વિનંતી કરી હતી.
અમૃતસરના પોલીસ કમિશનરે આ ઘટના પાછળ પાકિસ્તાન પ્રેરિત ભાગલાવાદીઓનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી.પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પણ પાકિસ્તાન ડ્રોન દ્વારા પંજાબમાં ડ્રગ અને હથિયાર મોકલતું હોવાનું જણાવી આ ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.