નેપાળમાં ભ્રષ્ટાચાર સામે આક્રોશ : ફરી રાજાશાહી લાવવાની માંગ સાથે અનેક લોકો રસ્તા પર ઉતર્યા
દેશના પાડોશી રાજ્ય નેપાળમાં ફરી એકવાર ભારે અશાંતિ પેદા થઈ ગઈ છે. રાજતંત્રની માગ ફરીવાર ગતિશીલ બની છે. રાજતંત્ર એટલે કે રાજાશાહીનું સમર્થન કરતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ કાઠમંડુમાં રેલી કાઢી હતી જેમાં નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે મોરી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર સિંહે તાજેતરમાં દાવો કર્યો છે કે તેઓ ફરી એકવાર દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે. જો આપણે વડા પ્રધાન કેપી ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદુર દેઉબા વિશે વાત કરીએ તો, નેપાળ માટે ફરીથી રાજાશાહીમાં પાછા ફરવું શક્ય નથી.
સીપીએ માઓવાદી સેન્ટરના અધ્યક્ષ પુષ્પકમલ દહલ પ્રચંડે પણ કહ્યું કે, ‘જ્ઞાનેન્દ્ર સિંહે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. જો પૂર્વ રાજાને લાગે છે કે તેઓ ખૂબ પ્રખ્યાત છે તો તેઓ પોતાની પાર્ટી બનાવી શકે છે. જો જનતા તેમને તક આપે તો તેઓ ફરીથી દેશની સેવા કરી શકે છે.’
એવામાં અરપીપીના સમર્થકોનું કહેવું છે કે નેપાળની સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં લોકશાહીને હટાવીને ફરી એકવાર રાજાશાહી લાદવી જોઈએ. નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. રાજાશાહીના અંત પછી, કાઠમંડુના રોયલ પેલેસને મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું હતું.
ગુરુવારે જ્ઞાનેન્દ્ર સિંહે પોખરામાં પૂર્વ રાજા વીરેન્દ્ર સિંહની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં લોકોએ રાજાશાહીનું રાષ્ટ્રગીત પણ ગાયું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજાશાહીની માગ કરનારાઓમાં મોટી સંખ્યામાં યુવાનો છે.