મહારાષ્ટ્ર સરકારમાં હલચલ : મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું, સરપંચ હત્યાકાંડ મામલે શું લાગ્યા આરોપ ? વાંચો
મહારાષ્ટ્રના બીડ સરપંચ હત્યા કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ ફડણવીસ કેબિનેટમાંથી મંગળવારે રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. ફડણવીસે કહ્યું કે, ‘મેં ધનંજય મુંડે દ્વારા સુપરત કરાયેલ રાજીનામું સ્વીકારી લીધું છે. નોંધનીય છે કે, મંત્રી ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું.
ડિસેમ્બર 2024માં બીડના મસાજોગ ગામના સરપંચ દેશમુખની હત્યાએ રાજ્યમાં રાજકીય તોફાન મચાવી દીધું હતું. આ કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથીનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ રાજ્ય સરકારને ઘેરી રહી છે. ગયા મહિને મહારાષ્ટ્ર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ અને અન્ય બે ઘટના સંબંધિત કેસોમાં બીડ જિલ્લાની એક કોર્ટમાં 1,200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી. જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી મુંડે બીડ જિલ્લાના પરલીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે.
15 વિડીયો અને 8 ફોટા મુંડે માટે મુસીબત
દરમિયાનમાં અહેવાલો મુજબ હત્યાના બનાવ અંગે આરોપીઓએ 15 વિડીયો બનાવ્યા હતા જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા અને સાથે 8 ફોટા પણ વાયરલ થયા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને મુંડે માટે આ બધુ ભારે મુશ્કેલીભર્યું બની ગયું છે.
