જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલો : સેનાના વાહન પર કર્યો ગોળીબાર, સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બુધવારે બપોરે LoC નજીક આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુંદરબની વિસ્તારના ફાલ ગામમાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાનું વાહન આતંકવાદી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો.તેમણે કહ્યું હતું કે હુમલામાં કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. આતંકવાદીઓ માટે સર્ચ-ઓપરેશન ચાલુ છે.
સર્ચ ઓપરેશન શરૂ
શંકાસ્પદ આતંકવાદીઓએ ગાઢ જંગલમાંથી સેનાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હુમલાખોરો જંગલમાં છુપાયા હોવાની આશંકા છે. સુંદરબનીમાં સીઆરપીએફ બટાલિયનના હેડક્વાર્ટર્સથી આશરે પાંચ-છ કિમી દૂર આ ઘટના બની હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધી
અગાઉ સાત ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા હતાં. તેમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો હતાં. જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં 11 ફેબ્રુઆરીએ એક આતંકી હુમલામાં સેનાના કેપ્ટન સહિત બે જવાન શહીદ થયા હતાં. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે એલઓસીની પાસે અખનૂર સેક્ટરમાં થયેલા આઇઇડી બ્લાસ્ટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતાં. જેમાંથી બે જવાનોના સારવાર દરમિયાન મોત થયા હતાં.