- પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવી,વાલીવારસાની શોધખોળ હાથ ધરી
શહેરના છેવાડે આવેલા બેડી રામપરા ગામે વાડીમાંથી અજાણ્યા ૩-૪ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. એરપોર્ટ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવી બાળકના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેડી રામપરા ગામે ખેડૂત જયેશ બાંભણીયાની વાડીમાં આવેલા કૂવામાં કોઈ બાળકોનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર જવાનોએ મૃતદેહને બાહર કાઢતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે વોઇસ ઓફ ડે સાથે વાત કરતા એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ.એન.સાવલિયાએ જણાવ્યું હતું કે, બાળકના મૃતદેહ મળવાની ઘટનામાં પી.એમ કરનાર ડોક્ટરે ડૂબવાથી મોત થયું હોવાનું કહ્યું હોય ત્યારે પોલીસ પ્રથમ તો તેના વાલી વારસાની શોધખોળ કરી રહી છે. જેના પગલે આજુબાજુના ગામડામાં વાડીએ રહેતા શ્રમિક પરિવારોની તપાસ ચાલી રહી છે. તેમજ સુરેન્દ્રનગર સહિતના આજુબાજુના જિલ્લા પોલીસને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં ગુમ થયેલા બાળકોના વાલીઓને પણ મૃતક બાળકની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બનાવવાળી જગ્યા જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે આની જાણ કોઈ લોકલ વ્યક્તિને હોય મૃતક બાળકે પહેરેલા કપડા ઉપરથી એવું તારણ નીકળી શકાય કે તે કોઈ સામાન્ય પરિવારમાંથી હોય શકે તેમજ તેના શરીરે ચોટના નિશાન પણ નથી જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, ૪ વર્ષનો નાનો બાળક પોતાની વાલી વારસાની હાજરી વગર અહી આવી પહોંચ્યો તે કેવી રીતે શક્ય બને ? ત્યારે બાળકને કોઈ હત્યા કરીને નાખી ગયું હતું કે તે સહિતના પ્રશ્નનો જવાબ બાળકના વાલીવારસો મળી આવ્યો ત્યારબાદ જ જાણવા મળશે.