તેલંગણામાં કોંગ્રેસ સરકાર કેવી રીતે આવી સંકટમાં ? શું થયું ? જુઓ
કોંગ્રેસ શાસિત તેલંગાણામાં બળવાના સંકેત મળી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદના સમાચાર સામે આવી રહ્યા છે. પાર્ટીના 10 ધારાસભ્યોએ રવિવારે બંધ બારણે બેઠક યોજી હતી, જેના કારણે નેતૃત્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે હવે આ મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ પાર્ટીના ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને શાંત કરવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પોતાના તમામ મંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ 10 ધારાસભ્યો મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીથી નારાજ હોવાની માહિતી સામે આવી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા માટે પોતાની પલેયર મુલાકાત રદ કરી દીધી હતી. રેવંત રેડ્ડીએ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો જે પાર્ટીની અંદર અસંતોષની ગંભીરતા દર્શાવે છે. કોંગ્રેસ હાઈકમાન્ડને ચિંતા છે કે સ્થાનિક સંસ્થા અને એમએલસી ચૂંટણી પહેલા ધારાસભ્યો દ્વારા કોઈપણ બળવાથી જનતામાં ખોટો સંદેશ જઈ શકે છે.
કોંગ્રેસના દસ ધારાસભ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મહાઉસ પર મુલાકાત કરી હતી, જેનાથી પાર્ટીમાં આંતરિક મતભેદોની અટકળોને વેગ મળ્યો છે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોમાં નૈની રાજેન્દ્ર રેડ્ડી, ભૂપતિ રેડ્ડી, યેનમ શ્રીનિવાસ રેડ્ડી, મુરલી નાઈક, કુચુકુલ્લા રાજેશ રેડ્ડી, સંજીવ રેડ્ડી, અનિરુદ્ધ રેડ્ડી, લક્ષ્મીકાંત, દોંતી માધવ રેડ્ડી અને બિરલા ઈલૈયા સામેલ હતા.
હવે કોંગ્રેસ ધારાસભ્યોની સીક્રેટ મીટિંગ બાદ આતંરિક વિખવાદને છુપાવવાનો પ્રયાસ કરતા નાગરકર્નૂલના સાંસદ મલ્લુ રવિએ કહ્યું કે, આ માત્ર એક ડિનર મીટિંગ હતી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષો આ મુદ્દાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.