ઈશ્વર સોમા આંગડીયાની પેઢી સાથે ત્રિપુટીએ કરી રૂ.72 લાખની ઠગાઈ
સોની વેપારી મારફત વિશ્વાસ મેળવી ત્રિપુટીએ દિલ્હી ઓફિસેથી પૈસા લઈ રાજકોટ ઓફિસે જમા ન કરાવ્યા : એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી
શહેરમાં ઈશ્વર સોમા આંગડીયા પેઢી સાથે 72 લાખની ઠગાઈ થયાનું પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સોની વેપારી મારફત વિશ્વાસ કેળવી ફોન મારફતે દિલ્હી ઓફિસેથી રૂપિયા લઈ રાજકોટ ઓફિસે જમા ન કરાવી છેતરપીંડી આચરતા એ-ડિવિઝન પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથધરી છે.
વિગત મુજબ શહેરમાં સોની બજારમાં આવેલી ઈશ્વર સોમા આંગડિયા પેઢીના મેનેજર મોરારભાઈ ગોરધનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૃથ્વીરાજ કોઠારી વિશાલ અને રમેશ મહેતાનું નામ આપ્યું છે. તેમાં તેઓએ જણાવ્યું હતું કે,ગત તા. 21ના રોજ સાંજે પેઢીના સંચાલક જયમીનભાઈ ઉપર સોની બજારના વેપારી વિજયભાઈ જાગાણીનો ફોન આવ્યો હતો અને તેમની એક જાણીતી પાર્ટીને દિલ્હી રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તેવી વાત કરી કામ કરી આપવા ભલામણ કરી હતી.થોડીવાર બાદ જયમીનભાઈના વોટ્સએપમાં હિન્દી ભાષામાં વાત કરનાર પૃથ્વીરાજ કોઠારીનો ફોન આવ્યો હતો અને 72 લાખ રૂપિયા દિલ્હીની ચાંદની ચોક ખાતે મોકલી આપવાની વાત કરી હતી. તેમજ રૂપિયા લેનાર તરીકે વિશાલનું નામ અને મોબાઈલ નંબર સાથે ખરાઈ માટે રૂ.10ની નોટનો ફોટો મોકલ્યો હતો. અને પૃથ્વીરાજે થોડીવારમાં રાજકોટની ઓફિસે રમેશ મહેતા નામનો વ્યક્તિ રોકડ જમા કરાવી જશે તેમ જણાવ્યું હતું.
ઈશ્વર સોમા આંગડિયા પેઢીના જયમીનભાઈ પટેલના કહેવાથી દિલ્હી ખાતે ઈશ્વર સોમા આંગડિયા પેઢીમાં 72 લાખનો હવાલો કરાવ્યા બાદ આ રકમ સાંજના વિશાલ નામનો વ્યક્તિ લઈ ગયો હતો. જેના સીસીટીવી રેકોર્ડિંગ હોય આ રકમ લીધા બાદ પૃથ્વીરાજ કોઠારીને રાજકોટ ખાતેની ઓફિસે 72 લાખ જમા કરાવવા ફોન કરતા રમેશ મહેતા થોડી વારમાં આવે છે તેવું કહી બાદમાં મોબાઈલ બંધ કરી દીધો હતો. તપાસ કરતા આ ત્રિપુટીએ અગાઉ પણ આ જ રીતે અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાનું ખુલ્યું હતું. હાલ આ મામલે એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી તેઓનું પગેરું મેળવી રહી છે.