સુરતમાં હૈયું હચમચાવતી ઘટના : પતિએ પત્ની-પુત્રની કરી કરપીણ હત્યા : માતા-પિતા પર ઘાતક હુમલો કર્યા બાદ પોતે કર્યો આપઘાતનો પ્રયાસ
સુરતનાં સરથાણા વિસ્તારમાં આજે સવારે બનેલી એક હ્રદયદ્રાવક ઘટનામાં એક યુવાને તેની પત્ની અને પુત્રની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી અને માતા-પિતાને ગંભીર ઈજા પહોંચાડી હતી. આખા પરિવાર ઉપર ઘાતક હુમલો કર્યા બાદ પોત્તે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ યુવાન ઉપરાંત તેના માતા-પિતાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવાના આંતરિક ઝગડા બાદ આ યુવાનના માથા ઉપર કાળ સવાર થયો હતો અને છરી લઈને બધ ઉપર તૂટી પડ્યો હતો. બેવડી હત્યાના આ બનાવ બાદ સુરતમાં સનસનાટી મચી ગઈ છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો હોવાનું જાણવા મળ્યુ છે.
સરથાણા પોલીસે આપેલી માહિતી અનુસાર, મૂળ સાવરકુંડલાના વતની અને સુરતમાં સરથાણા તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓનલાઈન બીઝનેસ સાથે સંકળાયેલા સ્મિત લાભુભાઈ ગોયાણીએ આજે સવારે અલગ રૂમમાં સુતેલી પત્ની અને પુત્ર તેમજ માતા-પિતા ઉપર ઘરના રસોડામાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરી બાદમાં ‘હું એકલો થઈ ગયો મારુ કોઈ નથી’ તેમ કહી પોતાના ગળા ઉપર અને હાથ ઉપર પણ ચપ્પુ ફેરવ્યું હતું. બનાવની જાણ થતા એકત્ર થયેલા લોકોએ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં ડોક્ટરોએ સ્મિતની પત્ની અને પુત્રને મૃત જાહેર કર્યા હતા. જયારે સ્મિત અને તેના માતા-પિતાની હાલત ગંભીર બતાવાઈ છે.

પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સ્મિતના મોટા પિતાના મોટા ભાઈનું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું. બાદમાં સમાજના રિવાજ મુજબ પરિવારના સભ્યો તેમના પરિવારને આશ્વાસન આપવા બડે પપ્પા પાસે જતા હતા. તે સમયે સ્મિતના પરિવાર અને બડે પાપાના પરિવાર વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. બડે પાપાના પરિવારના સભ્યોએ સ્મિતના પરિવારને તેમના ઘરે આવવા દેવાની ના પાડી અને આજથી અમારા ઘરે ન આવવા જણાવ્યું હતું.આ બંને પરિવાર વચ્ચે વતનની જમીન અને મકાન બાબતે ઝગડો ચાલતો હતો તેવું પણ જાણવા મળ્યું છે. આનાથી સ્મિત ગુસ્સે થયો હતો અને બોલવા લાગ્યો હતો કે હવે આ દુનિયામાં તેનું કોઈ નથી અને ગુસ્સામાં તેણે આ ગુનો કર્યો છે.