મેડીકલ ફિલ્ડમાં જવલ્લે જ બનતા એક કિસ્સામાં રાજકોટના એક બહેનને નાકમાં દાંત ઉગ્યો હતો અને ડોકટરે સર્જરી કરીને આ દાંત દુર કર્યો છે.
રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષીબેન (નામ બદલાવેલ છે )છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી ની સમસ્યાથી પીડાતા હતા. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેઓએ રાજકોટના ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો હતો.
ડૉ. ઠક્કરે નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કર્યું, જેમાં જમણા નાકમાં દાંત જેવી રચના મળી, જે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહી થી ઘેરાયેલી હતી. આને “એક્ટોપિક ટૂથ” તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે. આ એક અતિ દુર્લભ સ્થિતિ છે, જેની ઘટનાઓ માત્ર 0.1% થી 1% કેસમાં થાય છે અને સાહિત્ય અનુસાર વિશ્વભરમાં 50 થી પણ ઓછા કેસ નોંધાયેલા છે.

ડૉ. ઠક્કરે દર્દીને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી. ઓપરેશન દરમિયાન મોટી પથ્થર જેવી રચના.જેને rhinolith કહેવાય છે તે બહાર કાઢવામાં આવી, જેમાં દાંત સમાયેલું હતું. આ દાંત જમણા નાકના અંદરના ભાગ (ઇન્ફિરિયર ટર્બિનેટ) માંથી ઉગ્યો હતો. સર્જરી પૂરી રીતે સફળ રહી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફો વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
હવે મીનાક્ષી બેન સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. માથાનો દુખાવો પણ મટી ગયો છે અને તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે છે. દર્દીએ વિદ્યાનગર મેઈન રોડ ઉપર હોસ્પિટલ ધરાવતા ડૉ. હિમાંશુ ઠક્કરનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
