PMJAY-મા યોજનામાં ગેરરીતિ : વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ, રૂ.૫૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી
પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. તાજેતરમાં તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત લેવામાં આવી હતી. જે અંતર્ગત ગત અઠવાડિયામાં તા. ૨ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૫ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.
પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ ૯૧ જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. ૫૦,૨૭,૭૦૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.
પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.
દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.
અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.
અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.