દિલ્હીનો દમ ઘૂંટાયો
હવાના પ્રદુષણની સ્થિતિ કાબુ બહાર
સુપ્રીમ કોર્ટે આપ સરકારને લગાવી ફટકાર
ધો. ૧૨ સુધીની સ્કૂલો બંધ કરવા આદેશ
ઓડ-ઇવન લાગુ કરવા સરકારની વિચારણા
દર શિયાળામાં દિલ્હીમાં હવાના પ્રદુષણની સમસ્યા મોઢું ફાડીને ઉભી રહે છે અને આ વખતે પણ આ સમસ્યા દિલ્હીવાસીઓ માટે આફતરુપ બની છે. જો કે આ વખતે સ્થિતિ થોડી વધુ ભયંકર હોવાનું લાગી રહ્યું છે અને દિલ્હીનો દમ ઘૂંટાયો હોય તેવી પ્રતીતિ થઇ રહી છે. આ મામલે સુપ્રિમ કોર્ટે આકરાં પગલાં લીધા છે અને સરકારને ધો. ૧૨ સુધીની તમામ શાળાઓ બંધ કરવા આદેશ આપ્યો છે. દિલ્હી સરકારે જે પ્રતિબંધો લાગુ કર્યા છે તે ચાલુ જ રાખજો તેવું કહીને સુપ્રિમ કોર્ટે અમને પૂછ્યા વગર એક પણ છૂટછાટ ન આપતા તેવો આદેશ પણ આતિશી સરકારને આપ્યો છે.
આ વર્ષે વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી રહી છે. દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હીમાં હાનીકારક પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગણી કરતા એમિકસએ કહ્યું હતું કે આજે આપણે ગંભીર પરિસ્થિતિમાં છીએ. સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આપણે દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બનવા ન દેવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે દિલ્હીમાં AQI 300થી નીચે જાય તો પણ કોર્ટની પરવાનગી વિના GRAP-4ને દૂર કરવામાં ન આવે.
દિલ્હીમાં સોમવારે AQI 481 નોંધાયો હતો. જેને ધ્યાનમાં રાખીને GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. રવિવારે AQI 450 પર પહોંચ્યા પછી GRAP 4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને AQI 500 નોંધાયો હતો. AQI નોઈડામાં 384, ગાઝિયાબાદમાં 400, ગુરુગ્રામમાં 446 અને ફરીદાબાદમાં 336 નોંધાયું હતું.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) દિલ્હી-NCR પ્રદેશમાં વાયુ પ્રદૂષણને રોકવા પગલા લેવા માટેનો પ્લાન છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના પ્રમાણ મુજબ આ પ્લાનના સ્ટેજ લાગુ કરવામાં આવે છે.આ જોગવાઈ હેઠળ દિલ્હીમાં ડીઝલવાળા ભારે વાહનો માટે પ્રવેશબંધી છે સાથોસાથ બાંધકામ પ્રવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જો હજુ આ સ્થિતિ યથાવત રહેશે તો વાહનો માટે ઓડ-ઇવનનો નિયમ લાગુ કરવાની વિચારણા થઇ શકે છે.
બોક્સ
પાકિસ્તાનમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ
જેમ દિલ્હીમાં હવાનું પ્રદુષણ ભયંકર સ્તરે છે તેવી જ રીતે પાકિસ્તાનનાં લાહોર, ઇસ્લામાબાદ અને મુલતાન જેવા શહેરોમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ભયંકર પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ હળવી કરવા માટે સરકારે સોમવારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કર્યો હતો અને તેને લીધે ખાસ કરીને ઇસ્લામાબાદમાં થોડી રાહત પહોંચી હતી. જો આ પ્રયોગ સતત સફળ રહેશે તો હવાની ક્વોલીટી સુધારશે અને પ્રજાને રાહત મળશે.
