મામા vs ભાણેજ !! આજે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મતદાન : સફરજન અને માઈક વચ્ચે જામશે ખરાખરીનો જંગ
- 15 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 332 મતદારો : એક -એક મતદાર 15-15 મત આપશે
રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 27 વર્ષ બાદ મામાની સહકાર અને ભાણેજની સંસ્કાર પેનલ વચ્ચે સીધો જ ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આજે રાજકોટ, મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈ ખાતે સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે જેમાં 332 મતદારો ચૂંટણી જંગમાં ઉતરેલા 15 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજકોટ નાગરિક સહકારી બેન્કની આ રસાકસી ભરી ચૂંટણી ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે.
રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી ડેલિગેટ્સ પદ્ધતિથી યોજાય છે જેમાં 332 ડેલિગેટ્સ નાગરિક બેન્કના 21 ડિરેક્ટરોને ચૂંટવાની સતા ધરાવે છે, નાના માણસોની મોટી બેન્ક ગણાતી રાજકોટ નાગરિક બેંકમાં મોટાભાગની ચૂંટણી બિનહરીફ થતી આવી છે ત્યારે આ વખતે મામા જ્યોતીન્દ્રભાઈ મહેતા અને ભાણેજ કલ્પકભાઈ મણિયાર વચ્ચે 27 વર્ષ બાદ સીધો જ જંગ ખેલાઈ રહ્યો છે. છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કૌભાંડો ચાલી રહયા હોવાના આરોપ સાથે કલ્પકભાઈ મણિયાર દ્વારા રીઝર્વબેંકથી લઇ જુદી-જુદી ઓથોરિટી સમક્ષ ફરિયાદો કરવામાં આવી છે અને બેન્ક બચાવો સંઘના નામે લડત આપવાની સાથે ચૂંટણી જાહેર થતા જ નાગરિક બેન્કના સત્તાધીશોની સહકાર પેનલ સામે કલ્પકભાઈ મણિયારે કૌભાંડ અટકાવો બેન્ક બચાવોના સૂત્ર સાથે તેમની સંસ્કાર પેનલને મેદાને ઉતારી છે. જો કે, ડ્યુલ મેમ્બરશિપના કારણે કલ્પકભાઈ મણીયાર સહિતના ચાર ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહેતા હાલમાં સહકાર પેનલના 15 ઉમેદવાર સામે સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
રાજકોટ નાગરિક બેન્કની આ ચૂંટણીમાં સહકાર વિભાગના નવા કાયદા મુજબ યોજાઈ રહી છે જેમાં જિલ્લા કલેકટર ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને લોકસભા વિધાનસભા ચૂંટણીની જેમજ ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં તમામ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થશે તેમજ વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. બેન્કની ચૂંટણીમાં રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, મોરબી, અમદાવાદ, સુરત અને મુંબઈ મળી કુલ 7 સ્થળોએ મતદાન મથકો પર રવિવારે સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે જેમાં કુલ 332 મતદારો ભાગ લેશે, રાજકોટ ખાતેના મતદાન મથકે 196 મતદારો, મોરબી ખાતે 43, જેતપુર ખાતે 41, અમદાવાદ ખાતે 11, જસદણ ખાતે 29 અને મુંબઈ ખાતે 12 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સંસ્કાર પેનલ ઉપર સોદાબાજીનો આરોપ
બેન્કની ચૂંટણીમાં સતાધારી સહકાર પેનલ સામે પડેલી સંસ્કાર પેનલ ઉપર સહકાર પેનલે ચૂંટણી પૂર્વે સોદાબાજીનો આરોપ લગાવી જાહેર કર્યું હતું કે, રાજકોટ નાગરિક બેંકના મેનેજમેન્ટને દબાવવા અને પોતાના એજન્ડા પાર પાડવા માટે સંસ્કાર પેનલે પ્રેસર ટેક્નિક દ્વારા સોદાબાજી કરવા માટે જ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, સાથે જ સંસ્કાર પેનલ કુલ 21 બેઠકો ઉપર પૂરતા ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શક્યા નથી. એટલુ જ નહીં બેંકની બહારગામની 5 બેઠકો ઉપર એકપણ ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શક્યા નથી. તેમજ આ ચૂંટણીમાં નિયમ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની એક અનામત બેઠક માટેના ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શક્યા નથી. આ બાબત સાબિત કરે છે કે બહુમતી ડેલીગેટ તેમની સાથે નથી તેમ જણાવ્યું હતું.
નાગરિક બેન્કને બચાવવા માટેની આ લડાઈ : કલ્પક મણિયાર
રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં સતા સામે પડેલા સંસ્કાર પેનલના સુકાની કલ્પક મણીયારે ચૂંટણી પૂર્વે જણાવ્યું હતું કે, અમારો હેતુ સત્તા હાંસલ કરવાનો નથી અમારો હેતુ તો રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જે કૌભાંડો થાય છે તે બંધ કરાવવાનો છે. નાગરિક બેન્કના 10 લાખ ડીપોઝીટરો અને સાડાત્રણ લાખ શેરહોલ્ડરોના હિતમાં બેન્કને બચાવવા માટે અમે 11 ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્ન કરશું. સાથે જ તેઓએ આ વ્યક્તિગત લડાઈ ન હોવાનું તેમજ પોતે સંઘ અને ભાજપ સાથે અતૂટ પણે જોડાયેલા હોય બેન્કમાં ચાલી રહેલી ગરબડ રોકવા માટે જ લડત આપી રહયા હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચૂંટણીમાં જીત મળે તો કૌભાંડ આચરનારા સામે તુરત જ કાર્યવાહી કરવા અને જો હાર મળે તો પણ બેન્કના હિતમાં લડત ચાલુ રાખવા હુંકાર ભણ્યો હતો.
ક્યાં કેટલા મતદાર
રાજકોટ- 196 મતદાર
મોરબી – 43 મતદાર
જેતપુર – 41 મતદાર
અમદાવાદ -11 મતદાર
જસદણ – 29 મતદાર
મુંબઈ – 12 મતદાર
સંસ્કાર પેનલના ઉમેદવારો
1.હિનાબેન બોઘાણી
2.દિપકભાઈ અગ્રવાલ
3.જયંતભાઈ ધોળકિયા
4.દિપકભાઈ કારીયા
5.વિજયભાઈ કારીયા
6.પંકજભાઈ કોઠારી
7.વિશાલભાઈ મિઠાણી
8.ડૉ. ડી.કે. શાહ
9.નિતાબેન શેઠ
10.લલિતભાઈ વડેરિયા (કાલુમામા)
11. ભાગ્યેશભાઈ વોરા
=====
સહકાર પેનલના ઉમેદવારો
1.માધવભાઈ દવે
2.દિનેશભાઈ પાઠક
3.જીવણભાઈ પટેલ
4.અશોકભાઈ ગાંધી
5.ચંદ્રેશભાઈ ધોળકિયા
6.કીર્તિદાબેન જાદવ
7. જ્યોતિ ભટ્ટ
8.હસુભાઈ ચંદારાણા
9.દેવાંગભાઈ માંકડ
10.બ્રિજેશભાઈ મલકાન
11.ડૉ. એન.જે. મેઘાણી
12.કલ્પેશભાઈ ગજ્જર
13.વિક્રમસિંહ પરમાર
14.ચિરાગભાઈ રાજકોટિયા
15.ભૌમિકભાઈ શાહ
સહકાર પેનલના બિનહરીફ ઉમેદવારો
1. નવીન પટેલ
2. સુરેન્દ્ર પટેલ- અમદાવાદ
3. દીપક બકરાણીયા-મોરબી
4. મંગેશજી જોશી- મુંબઈ
5. હસમુખ હિંડોચા- જામનગર
6. લલીત વોરા
પોલિંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી માટે કુલ ૭ મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે બનાવવામાં આવ્યા છે.રાજકોટ મતક્ષેત્રની ૧૩ જનરલ સીટ માટે કુલ ૨૩ ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે ૩૫ પોલીંગ સ્ટાફ તથા ૨૧ રીઝર્વ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ૫૦થી વધુ ચૂંટણી સ્ટાફ દ્વારા આ ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન જહેમત ઉઠાવી રહ્યાં છે.