નાગરિક બેન્કનો ચૂંટણી વિવાદ : આજે હાઇકોર્ટમાં સુનાવણી
સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત ચારના ફોર્મ રદ થયા છે, હાઇકોર્ટમાં સહકાર પેનલના ૧૦ ઉમેદવારોના ફોર્મ રદ કરવા રજૂઆત
હાઇકોર્ટનો ચુકાદો ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે તેવી સંસ્કાર પેનલને આશા
વિવાદના વમળના ફસાયેલી અને ભાજપ તથા સંઘમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર્યા બાદ ગુરુવારે જસ્ટીસ દેવેન્દ્ર દેસાઈ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ કાનૂની જંગ રસપ્રદ એટલા માટે બન્યો છે કે, સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રએ સંસ્કાર પેનલનાં કલ્પક મણિયાર સહીત ચારના ઉમેદવારી પત્ર અમાન્ય ગણીને રદ કરી નાખ્યા છે તો બીજી તરફ સંસ્કાર પેનલે હાઇકોર્ટમાં સહકાર પેનલના ૧૦ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ગણવા પુરાવા સાથે રજૂઆત કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કલ્પક મણિયાર ડ્યુઅલ મેમ્બરશીપ ધરાવે છે તેવા કારણોસર તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે અને બીજા માટે અપૂરતી બેલેન્સ સહિતના કારણો આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ અમાન્ય કર્યા પછી તેની સામે હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. આ પીટીશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સહકાર પેનલના ૧૦ ઉમેદવારો ડ્યુઅલ મેમ્બરશીપ ધરાવે છે તે તેમની ઉમેદવારી પણ રદ થવી જોઈએ. વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, ૩૧૨ ડેલીગેટમાં ૧૪થી વધુ ડીરેક્ટરપદના ઉમેદવાર છે.
સંસ્કાર પેનલે એવી આશા વ્યક્ત કરી છે કે, હાઇકોર્ટમાં થનારી સુનાવણી અને ચુકાદો નાગરિક બેન્કની ચૂંટણી માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થઇ શકે છે.
આ પેનલને એવી પણ આશા છે કે, તા. ૧૭મીએ થનારું મતદાન ગુપ્ત મતદાન છે અને ઘણા ડેલીગેટ્સ સંસ્કાર પેનલને મત આપવાનું મન બનાવી ચુક્યા છે.