‘મમ્મી-પપ્પા માફ કરી દેજો’, ડોક્ટર બનવાનું સપનું હું પૂરું ન કરી શકી’ સ્યુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીનો આપઘાત
અયોધ્યા ચોક પાસે ઓસ્કાર રેસીડેન્સીમાં રહેતી અને મોદી સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં અયોધ્યા ચોક પાસે ઓસ્કાર રેસિડેન્સીમાં રહેતી અને મોદી સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મમ્મી-પપ્પા માફ કરી દેજો, ડોક્ટર બનવાનું સપનું હું પૂરું ન કરી શકી’ એક પાનાની સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જેથી એકના એક પુત્રીના આપઘાતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
વિગતો મુજબ અયોધ્યા ચોક નજીક આવેલ ઓસ્કાર રેસીડેન્સીમાં રહેતા માહી આલોકભાઈ મલકાણ (ઉ.વ.17) નામની વિદ્યાર્થીનીએ રાત્રીના 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે રૂમમાં સ્યૂસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તેણીનાં પરિવારને થતાં દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થયા હતા અને બેભાન હાલતમાં 108 મારફત માહીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ એન.જે.મસાકપુત્રા સહીતનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.
તપાસમાં આપઘાત કરનાર માહીબેન મોદી સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. હાલ પરીક્ષા નજીક આવતી હોય અને ભણવાનું પ્રેસર હતું. તેણીનું ડોકટર બનવાનું સપનું હતું. પણ અભ્યાસમાં થોડું નબળું હોવાથી તેણીને ડોકટર બનવાનું સ્વપ્ન અધુરૂ રહેશે. જેના ડિપ્રેશનમાં આવી ‘મમ્મી-પપ્પા માફ કરી દેજો, ડોક્ટર બનવાનું સપનું હું પૂરું ન કરી શકી’ એક પાનાની સ્યુસાઇડ નોટ રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ રાખી છે.