ચાર વર્ષ મોડુ કર્યા પછી હવે આવતા વર્ષથી થશે વસતિ ગણતરી
૨૦૨૬ સુધી સમગ્ર પ્રક્રિયા ચાલશે અને ત્યાર બાદ લોકસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરાશે
ચાર વર્ષ સુધી મોડુ કર્યા પછી હવે કેન્દ્ર સરકાર આવતા વર્ષથી વસતિ ગણતરીનું કામ શરુ કરશે તેમ એક અહેવાલમાં જણાવાયુ છે. આ કામ ૨૦૨૬ સુધી ચાલશે અને સરકાર ટૂંક સમયમાં આ અંગેના કાર્યક્રમની જાહેરાત કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર, વસતિ ગણતરી પૂરી થયા બાદ સરકાર લોકસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરશે જે ૨૦૨૮ સુધી ચાલશે.
વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. હવે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે.
દેશમાં વસતિ ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે, તે હવે 2035માં થશે. અત્યાર સુધી વર્ષ 1991, 2001, 2011ની જેમ દાયકાની શરૂઆતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે 2025 પછી આગામી વસતિ ગણતરી 2035, 2045 અને 2055માં થશે. વસતિ ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા બેઠકનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ઘણા વિરોધ પક્ષો તરફથી જાતિ આધારિત વસતિ ગણતરીની માગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. વસતિ ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે.