બમબમ ભોલે ! સોમનાથ ટ્રસ્ટ પાસે 511 કરોડની સંપત્તિ
ટ્રસ્ટ પાસે રૂપિયા 450.11 કરોડ તો અનામત ભંડોળ
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીની એક એવા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હિસાબો જાહેર કર્યા
બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં દેશભરમાંથી દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી રહ્યા છે અને વિશાળ સંકુલમાં યાત્રાળુઓ માટે રહેવા, જમવાની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હોવાની સાથે મંદિરના સંચાલનમાં અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા હિસાબો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મંદિર પાસે હાલમાં 511.25 કરોડની સંપત્તિ હોવાનું જે પૈકી 450.11 કરોડ તો ફક્ત અનામત ભંડોળ તરીકે હોવાનું જાહેર કરી મહેસુલી ખર્ચ પાંચ 63.53 કરોડનો ખર્ચ કરવામાં આવતો હોવાનું જણાવવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ટ્રસ્ટમાં ચેરમેન છે તેવા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રભાસ પાટણ દ્વારા ટ્રસ્ટના હિસાબો જાહેર કરવામાં આવ્યા છે, દ્વાદશ જ્યોતિર્લિંગ માહે ના પ્રથમ એવા સોના જડિત મંદિરના દર્શન એક લ્હાવો છે, વર્ષે દહાડે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી અનેકે કિંમતી ભેટ સોગાદો દેવાધિદેવ મહાદેવજીના ચરણે અર્પણ કરી રહ્યા છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ હિસાબો મુજબ મંદિર પાસે કુલ 511.25 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
સોમનાથ મહાદેવ ટ્રસ્ટના હિસાબો મુજબ મંદિરને દાન પેટે 23.18 કરોડ મળ્યા છે અને 9.11 કરોડ વ્યાજની આવક ઉપરાંત 71.25 કરોડની અન્ય આવકો છે. આ ઉપરાંત મંદિરના મહેસુલી ખર્ચ પેટે 63.53 કરોડ, મૂડી ખર્ચ પેટે 3.69 કરોડ, પરચુરણ ખર્ચ પેટે 1.78 કરોડ અને 34.55 કરોડ આવક ઉપરનો ખર્ચ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
સાથે જ સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસે 50.95 કરોડનું ટ્રસ્ટ ફંડ, 450.11 કરોડ રિઝર્વ હોવાની સાથે 10.71 કરોડની જવાબદારીઓ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિર પાસે જમીન તેમજ ઇમારત મળી કુલ રૂપિયા 263.89 કરોડ રૂપિયા, 15.24 કરોડના કાર્ય વિકાસમાં હોવાનું, 53.95 કરોડ ફર્નિચર અને અન્ય સાધનો પેટે તેમજ 174.36 કરોડ રૂપિયા રોકાણ, બેન્ક બેલેન્સ હોવાની સાથે જ રૂપિયા 3.79 કરોડની લોન અને એડવાન્સ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેરમેન છે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વરિષ્ઠ ભાજપના આગેવાન અને પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણી, જે.ડી.પરમાર, પી.કે.લહેરી, વિશદ મફતલાલ અને હર્ષવર્ધન નેઓટિયા ટ્રસ્ટીઓ છે.