રાજકોટના ગુંદાવાડીમાં ‘યમુના કુંજ’ નામના મકાનમાં રહેતાં સોની પરિવારના 9 લોકોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 9 સભ્યોએ ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ગુંદાવાડી વિસ્તારની છે જ્યાં ‘યમુના કુંજ’ નામના મકાનમાં રહેતાં સોની પરિવારના 8 લોકોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. લોનના હપ્તા ચડી જવાથી વારંવાર પરેશાન કરવામાં આવતા ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારજનોના નામ
દવા પી લેનારા સોની પરિવારના ૯ સભ્યો ગુંદાવાડી મેઇન રોડ પર ગોવિંદપરા-૨ના ખુણે યમુના કુંજ ખાતે રહે છે. તેમના નામ કેતનભાઇ લલીતભાઇ આડેસરા (ઉ.વ.૪૫), તેમના પત્નિ દિવ્યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.૪૨), માતા મીનાબેન લલીતભાઇ આડેસરા (ઉ.વ.૬૭), પિતા લલીતભાઇ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૬), કેતનભાઇના નાના ભાઇ વિશાલભાઇ લલીતભાઇ આડેસરા (ઉ.વ.૪૦), નાના ભાઇના પત્નિ સંગીતાબેન વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૩૯), તેમજ કેતનભાઇના પુત્ર જય આડેસરા (ઉ.વ.૨૧), ભત્રીજા વંશ વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૧૫) અને ભત્રીજી હેતાંશી વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૮)નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ઉંડી તપાસ કરી રહી છે.
વેપારીએ જણાવ્યું હતું કે મુંબઇના ચાર વેપારી કે જેઓ એકબીજાના ભાગીદાર છે તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી દીધુ હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનુ ખરીદ કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોઇ ઘરમાં વેપારના સ્થળે આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળીને અમે સામુહિક આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો.