ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રામવિલાસ શર્મા પણ પક્ષ સાથે છેડો ફાળવાની વેતરણમાં
- હરિયાણા ભાજપમાંથી અવિરત હિજરત
- દેવીલાલના પૌત્ર સહિત ચાર નેતાઓનો બળવો
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે પ્રથમ યાદી બહાર પાડ્યા બાદ પક્ષમાં અસંતોષનો દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. શુક્રવાર સુધીમાં જ હરિયાણા ભાજપના કેટલાક મોટા ગજાનાં નેતાઓ સહિત 20 કરતા વધુ નેતાઓએ ભગવો ફગાવ્યા બાદ શનિવારે વધુ ચાર નેતાઓએ બળવાનું બ્યુગ્લ ફૂંક્યું હતું
હરિયાણા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને એક સમયે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર એવા ચાર વખતના ધારાસભ્ય રામવિલાસ શર્માને પણ પક્ષે નજર અંદાજ કરતા તેમણે નારાજગી વ્યક્તિ કરી હતી. પ્રથમ યાદીમાં તેમનું નામ જાહેર ન થયા બાદ મહેન્દ્રગઢમાં તેમણે સમર્થકોની બેઠક બોલાવી અને તેજાબી ભાષણ કર્યું હતું. તેમણે કહ્યું કે મેં 55 વર્ષનો સંઘર્ષ કર્યો છે, અમે હરિયાણા ભાજપના પાયાના પથ્થર છીએ અને કોઈ મારી કારકિર્દી ખતમ કરી શકશે નહીં. નોંધનીય છે કે રામબિલાસ શર્માની ગણના હરિયાણા ભાજપના ટોચના નેતાઓમાં થાય છે. 2014માં ભાજપે પ્રથમ વખત હરિયાણામાં પૂર્ણ બહુમતી મેળવી અને ઇતિહાસ રચ્યો ત્યારે મુખ્યમંત્રીના પદ માટે તેમનું નામ મોખરે હતું પરંતુ ભાજપે પ્રથમ વખત ચૂંટાયેલા મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવ્યા હતા. શર્મા બહોળો સમર્થક વર્ગ ધરાવે છે. તેમણે સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ આગામી રણનીતિ નક્કી કરવાનું જાહેર કર્યું હતું.
બીજી તરફ ફરીદાબાદના ઇન્ચાર્જ જીએલ શર્માને તેમની ગુરુગ્રામની બેઠક પરથી ટિકિટ ન મળતા તેમણે ભારતીય જનતા પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
બળવાખોરો ભાજપ માટે શિરદર્દ બન્યા
ભારતીય જનતા પક્ષને આ ચૂંટણીમાં અનેક બેઠકો પર બળવાખોરોનો સામનો કરવો પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કાલકાની બેઠક ઉપર પણ ભાજપનું ઘર સળગ્યું છે એ બેઠક પરના ભૂતપૂર્વ ધારાસભ્ય લતિકા શર્માની ટિકિટ આપવામાં આપતાં તેઓ રડી પડ્યા હતા. ભારતીય જનતા પક્ષે એ બેઠક ઉપરથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પત્ની શક્તિ રાણીને ટિકિટ આપી છે. તેઓ હજી ત્રણ દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. લતીકા શર્મા 2014માં એ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા. જોકે 2019 માં તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ટિકિટ કપાયા બાદ તેમણે સમર્થકોને સંબોધન કરી નજીકના દિવસોમાં જ પોતાનો નિર્ણય જાહેર કરવાની ઘોષણા કરી હતી. બીજી તરફ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવિલાલના પૌત્ર આદિત્ય ચોટલાની દાબવાલી બેઠક ઉપર ટિકિટ કપાતા તેમણે કોર્પોરેશનના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ હવે પોતાની જૂની ઇન્ડિયન નેશનલ લોક દળ પાર્ટીમાં જોડાઈ જશે.