કેજરીવાલનો જેલવાસ ક્યાં સુધી લંબાયો ? વાંચો
અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. તેમને ઇડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે, પરંતુ તેઓ હજુ પણ સીબીઆઇ કેસમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતા બંને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંગળવારે લોકલ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં લાગેલા ટીવી સ્ક્રીન પર આ બંને દેખાતા જ જજે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો અને બંનેનો જેલવાસ 2 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો હતો.
જો કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી અને સીબીઆઇ ધરપકડને પડકારતી અરજી પર 20 ઓગસ્ટે સુનાવણી કરવાની સંમતિ મંગળવારે આપી હતી. હવે કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી ઘણી આશા છે. મનીષ સિસોદિયા બહાર આવ્યા છે ત્યારે કેજરીવાલને પણ રાહતની અપેક્ષા છે.
રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે અરવિંદ કેજરીવાલ અને કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. હવે મુખ્ય કેસની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં 2 સપ્ટેમ્બરે થશે. આમ બંને નેતાઓને કોઈ રાહત મળી નથી.
દિલ્હી હાઈકોર્ટે ધરપકડને માન્ય ગણાવી હતી
દિલ્હી હાઈકોર્ટે 5 ઓગસ્ટે કેસમાં કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈની કાર્યવાહી દુર્ભાવનાથી પ્રેરિત નથી અને તે સાબિત થયું છે કે આપ સુપ્રીમો સાક્ષીઓને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે જે તેમની ધરપકડ પછી જ જુબાની આપવા માટે હિંમત એકત્ર કરી શકે છે. આ કેસ સાથે જોડાયેલા એક વકીલે સોમવારે કહ્યું કે મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કેજરીવાલની ધરપકડને યથાવત રાખતા હાઈકોર્ટે તેમને નિયમિત જામીન માટે પહેલા નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું.