રિઝર્વ બેન્કે ટેક્સ પેમેન્ટ માટે શું સુવિધા જાહેર કરી ? વાંચો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે યુપીઆઈ દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. મંગળવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે યુપીઆઈ તેની સરળ સુવિધાઓને કારણે ચુકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. હાલમાં, યુપીઆઈ માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે. હવે તેને વધારીને રૂપિયા 5 લાખ કરાઇ છે. બેન્કે ગુરુવારે જાહેર કરેલી પોલિસીમાં વ્યાજ દરો યથાવત રાખ્યા હતા.
દાસે જણાવ્યું હતું કે વિવિધ ઉપયોગના કેસોના આધારે, રિઝર્વ બેંકે સમયાંતરે સમીક્ષા કરી છે અને અમુક કેટેગરી જેમ કે કેપિટલ માર્કેટ, આઇપીઓ સબસ્ક્રિપ્શન, લોન કલેક્શન, વીમો, મેડિકલ અને શૈક્ષણિક સેવાઓ વગેરે માટે મર્યાદા વધારી છે.
દાસે કહ્યું, “પ્રત્યક્ષ અને પરોક્ષ કરની ચૂકવણી સામાન્ય, નિયમિત અને ઉચ્ચ મૂલ્યની હોવાથી. યુપીઆઈ દ્વારા કર ચૂકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જરૂરી સૂચનાઓ અલગથી જારી કરવામાં આવશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)નો યુઝર બેઝ 42.4 કરોડ સુધી પહોંચી ગયો છે. જો કે, યુઝર બેઝના વધુ વિસ્તરણની સંભાવના છે.