ગોંડલ, વિંછીયા અને જેતપુરમાં ત્રણ લોકોને ત્રાસ આપતા વ્યાજખોરો સામે ગુનો નોંધાયો
ગોંડલના યુવાને માતાની સારવાર માટે,જેતપુર અને વિંછીયાના ધંધાર્થીએ વેપાર માટે વ્યાજખોરો પાસેથી પૈસા લઈ આપી દીધા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરતાં
ગુજરાતભરમાં વ્યાજખોરોના ત્યારથી અનેક પરિવારોના માળા વિખાઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો પર લગામ લગાવવા માટે તબક્કાવાર ઝુંબેશ શરૂ કરી લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે. જેમાં ગોંડલ,વિંછીયા અને જેતપુરમાં ત્રણ વ્યક્તિઓને ત્રાસ આપતા 6 વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાછળ શિવમ રેસીડેન્સીમાં રહેતા કિશન રાજુભાઈ માટીયા (ઉ.20) નામના ભરવાડ યુવાનને બે વર્ષ પહેલા માતાના ઓપરેશન માટે પૈસાની જરૂરીયાત હોય ગોંડલના ઘનુભા જાડેજા પાસે બાઈક ગીરવે મુકી 15 હજાર વ્યાજે લીધા હતાં. બાદમાં પૈસાની સગવડ ન થતાં પેાતાનું બાઈક પરત લેવા જતાં વ્યાજખોરે 65 હજાર આપી જા અને તારું બાઈક લઈ જા તેમ કહી ઓફિસમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજા બનાવમાં વિંછીયાના ખોડીયારપરામાં રહેતા અને ગેરેજ ધરાવતાં જયેશભાઈ ભનુભાઈ મકવાણા (ઉ.36) નામના કોળી યુવાનના પાંચેક મહિના પહેલા પૈસાની જરૂરીયાત ઉભી થતાં ભાભલુભાઈ કાઠી પાસેથી પાંચ હજાર પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. જેનો દર મહિને 250નો હપ્તો હતો.જેની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અને ત્રીજા બનાવમાં જેતપુરના અમરનગર રોડ પર આવેલા વિવેકાનંદ સ્કૂલ પાછળ સ્વામીનારાયણ નગરમાં રહેતા કલરનો ધંધો કરતાં સત્યેન્દ્રસિંહ ઉર્ફે સિકંદર બુધનસિંગ કુશવાહા (ઉ.40) નામના વેપારી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ મહિપતભાઈ બસીયા, જેતપુરના રબારીકા ગામના અશોકભાઈ કાઠી, જેતપુરના દેવાભાઈ ભરવાડ, રબારીકા ગામના કાનાભાઈ કાઠીનું નામ આપ્યું છે.તેઓનો ધંધો ભાંગી પડતાં પૈસાની જરૂર પડતાં ચાર વ્યાજખોરો પાસેથી રકમ વ્યાજે લીધી હતી. અને બાદમાં ફરિયાદીએ પોતાના મકાન પર લોન લઇ મહીપતભાઈ બસીયાને 8 લાખ રૂપિયા અશોકભાઈને સાત લાખ રૂપિયા દેવાભાઈને 2.30 લાખ અને કાનભાઈ કાઠીને 2.70 લાખ આપી દીધા હોવા છતાં આરોપીઓ વધુ વ્યાજ અને પૈસાની ઉઘરાણી કરી હેરાન કરતાં હોય આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વ્યાજખોરોની ધરપકડ કરી છે.