રાજકોટમાં લોકમેળો ક્યાં યોજવો ? સલામત જગ્યાની શોધખોળ જારી
અટલ સરોવર અને કણકોટની જગ્યા અનુકૂળ ન હોવાનો રિપોર્ટ
રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અને ટ્રાફિકના મુખ્ય પ્રશ્નને લઈ આ વર્ષ ભાતીગળ લોકમેળો ક્યાં યોજવો તે માટે તંત્ર દ્વારા સલામત જગ્યાની શોધખોળ શરૂ કરવામાં આવી છે જેમાં અટલ સરોવર અને કણકોટ એન્જીનીયરીંગ કોલેજ નજીકની જગ્યા સમતોલ ન હોય બન્ને જગ્યાઓ ઉપર ચોકડી મારી દઈ નવી જગ્યા માટે શોધખોળ યથાવત જારી રહી છે.
રાજકોટમાં દર વર્ષે રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાતા ભાતીગળ લોકમેળાને આ વર્ષે સાંઢિયા પુલનો રસ્તો બંધ થતા કિશાનપરા ચોક, રેષકોર્ષ ચોકમાં ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાય તેવી સ્થિતિ હોવાથી પાંચ દિવસીય લોકમેળો અન્ય સલામત જગ્યાએ યોજાય તે માટે સંબંધિત મામલતદારોને જગ્યા શોધવા માટે કામે લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, દરમિયાન જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અટલ સરોવર નજીક તેમજ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ નજીક ઉપલબ્ધ જગ્યા સમતોલ ન હોવાને કારણે આ બન્ને જગ્યા યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ જ્યાં વિશાળ જનમેદની એકત્રિત થતી હોય તેવા જાહેર મેળાવડા, લોકમેળા સહિતના સ્થળો માટે ખાસ એસઓપી લાવવા સરકાર તૈયારીમાં છે તેવા સમયે જ રાજકોટમાં જન્માષ્ટમી પર્વે યોજાતા પાંચ દિવસીય ભાતીગળ મેળો આ વર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજી શકાય તેમ ન હોય તંત્ર દ્વારા શહેર નજીકના સ્થળની શોધખોળ જારી રાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.