સ્પીકરપદ માટે ભાજપ તરફથી કોનું નામ આગળ ? વાંચો
એનડીએની સરકાર બની ગઈ છે હવે લોકસભાના સ્પીકર કોણ હશે તેના પર સૌની નજર મંડાયેલી છે. સંસદનું વિશેષ સત્ર 24 જૂનથી શરૂ થઈ શકે છે અને તેની સાથે સ્પીકરની ચૂંટણીની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. સ્પીકર પદ માટે 26 જૂને ચૂંટણી યોજાવાની શક્યતા છે. . જો કે ભાજપે તેનો તોડ કાઢી લીધો છે અને આંધ્ર ભાજપના પ્રમુખ પુરંદેશ્વરીનું નામ અત્યારે આ પોસ્ટ માટે સૌથી આગળ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. ટીડીપીએ અને જેડી યુએ સ્પીકર પદ માટે દબાણ કર્યું હતું પણ ભાજપ પોતાની પાસે જ આ પદ રાખશે.]
મંત્રાલયોના વિભાજન પહેલા જ ટીડીપીએ સ્પીકર પદ માટે દાવો રજૂ કર્યો હતો. સાથે જ જેડીયુ પણ આ પદની માંગ કરી રહી છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે ભાજપ સ્પીકર પદ જાળવી રાખશે અને આ રેસમાં આંધ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દુગ્ગુબતી પુરંદેશ્વરીનું નામ સૌથી આગળ છે. ભાજપના ટોચના નેતાઓ મંથન કરી રહ્યા છે.
આ વખતે પુરંદેશ્વરીએ રાજમુંદરી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીને લાગે છે કે જો પુરંદેશ્વરીને સ્પીકર બનાવવામાં આવશે તો ટીડીપી અને ચંદ્રાબાબુ નાયડુ તેના પર કોઈ વાંધો ઉઠાવશે નહીં. દુગ્ગુબતી પુરંદેશ્વરીએ લોકસભા ચૂંટણીમાં ટીડીપી અને જનસેના સાથે ભાજપના જોડાણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જનતાએ પણ ગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોણ છે દુગ્ગુબાતી પુરંદેશ્વરી?
દુગ્ગુબાતી પુરંદેશ્વરી પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવની પુત્રી અને ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરીની બહેન છે. આંધ્ર પ્રદેશ બીજેપી ચીફ હોવા ઉપરાંત તે ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. 2004 અને 2009માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર બાપટલા અને વિશાખાપટ્ટનમથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા, તેણી અને તેમના પતિ દુગ્ગુબાતી વેંકટેશ્વર રાવ શરૂઆતમાં ચંદ્રબાબુ નાયડુ સાથે હતા અને તેઓએ મળીને 1996માં ટીડીપીના બળવા પછી એનટી રામારાવને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા હતા.
24 જૂનથી સંસદનું વિશેષ સત્ર
દરમિયાનમાં સંસદના વિશેષ સત્રની મંગળવારે નવી તારીખ બહાર આવી હતી જે મુજબ 24 જૂનથી આ સત્ર શરૂ થવાની શક્યતા છે. એક અહેવાલ મુજબ 24 અને 25 જૂન એમ બે દિવસ નવા સાંસદોને શપથ લેવડાવાશે અને 26 જૂનના રોજ લોકસભાના અધ્યક્ષની ચુંટણી થવાની સંભાવના છે.