વડાપ્રધાન મોદી ફરી કામે લાગ્યા; આજે 7 બેઠકો કરી
હિટવેવ, ચક્રવાત અને સરકારની ત્રીજી ઈનીગના પ્રથમ 100 દિવસના કામ અંગે ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારની વ્યસ્તતા પૂરી થયા બાદ રવિવારે ફરી કામે લાગી ગયા હતા. અલગ અલગ મુદાઓ પર એમણે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. લોકસભા 2024ની ચૂંટણી માટે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ અલગ સમાચાર એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. એક્ઝિટ પોલ અનુસાર સતત ત્રીજી વખત મોટી બહુમતી સાથે એનડીએ સરકાર બની રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિણામ આવે તે પહેલા જ કામે લાગી ગયા હતા.
વડાપ્રધાને રવિવારે એક દિવસમાં સાત તાબડતોબ બેઠકો કરી હતી. જેમાં આગામી સરકારના 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત દેશભરમાં ભીષણ ગરમી અને હિટવેવની પરિસ્થિતિ, રેમલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન, પર્યાવરણ દિવસ સહિતના અનેક મુદ્દઓ પર ચર્ચા થઈ હતી. અધિકારીઓ પાસેથી વડાપ્રધાને વિગતો મેળવી હતી.
મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે ‘પહેલા 100 દિવસમાં જ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. આ માટે 2029 સુધી રાહ જોવાની જરૂર નથી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે અધિકારીઓએ મોદી સરકારના પ્રથમ 100 દિવસના નિર્ણયોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે
. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે સરકાર ઓગસ્ટ 2024 સુધીમાં મોટા નિર્ણયો લઈ શકે છે. સરકાર બન્યા બાદ જુલાઈમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જો કે હજુ ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે. ઉલ્લેખનીય છેકે ચૂંટણીને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.