ક્ષત્રિયોનું આંદોલન ચાલુ પણ મોદીની સભામાં કોઈ કાંઇ ન કરે
ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિએ પત્ર લખી સમાજને કરી અપીલ
ભાજપ વિરોધી અને લોકશાહી ઢબે ૧૦૦ ટકા મતદાનની નીતિ યથાવત
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને જુદા જુદા નેતાના કાર્યક્રમોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિએ સમાજ જોગ એક અપીલ બહાર પાડી નરેન્દ્ર મોદીની છ સ્થળે યોજાનારી જાહેરસભામાં કોઈએ કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરવો તેવી વિનંતી કરવામાં આવી છે. સાથોસાથ અન્ય બેઠકો ઉપર શાંતિપૂર્ણ જરીતે આંદોલન ચાલુ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
રાજપૂત સંકલન સમિતિના રમજુભા જાડેજાની સહીથી લખાયેલો પત્ર આ પ્રમાણે છે. ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે. આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે.
પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાઈકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરીએ મુજબની રણનીતિ યથાવત રહેશે.
સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલી ચર્ચા-વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એવી ભીતિ સેવાય રહી છે ત્યારે વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓની સુરક્ષા જોખમાય કે ખામી ઉભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે વડાપ્રધાનની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણુ ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100 ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેંદ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે.