હું પુરુષોત્તમ રૂપાલા નથી કે બોલીને નિવેદન પાછુ ખેંચી લઉં…., હું ઉમેશ મકવાણા છું..બોલીને ન ફરું
રાજાઓ અંગ્રેજોના ગુલામ હતા અને અફીણનો નશો કરીને પડ્યા રહેતા
ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે ઇન્ટરવ્યુ દરમિયાન વિવાદને જન્મ આપ્યો
લોકસભાની ચૂંટણીમાં રાજા-રજવાડાઓ કેન્દ્રમાં આવી ગયા છે. પુરુષોત્તમ રૂપાલા અને રાહુલ ગાંધી પછી હવે ઇન્ડિયા ગઠબંધનનાં ભાવનગરની બેઠકના ઉમેદવાર અને આપના નેતા ઉમેશ મકવાણાએ અદ્ભુત વિવાદ ઉભો કર્યો છે. તેમણે એવું નિવેદન કર્યું છે કે, રાજા-મહારાજાઓ અંગ્રેજોના ગુલામ હતા અને અફીણનું સેવન કરીને પડ્યા રહેતા હતા.
હજુ આટલું ઓછું હોય તેમ પત્રકારે પૂછ્યું કે તમે આ પ્રકારના નિવેદન ઉપર કાયમ છો તો ઉમેશ મકવાણાએ કહ્યું કે હું પુરુષોત્તમ રૂપાલા નથી કે નિવેદન પાછું ખેંચુ…હું ઉમેશ મકવાણા છું અને હું બોલીને ક્યારેય ફરતો નથી.
ઉમેશ મકવાણા એક ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે આવું વિવાદી નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણા રાજાઓ તાકાતવાળા હતા અને તેને હરાવી શકાય એમ ન હતા તેથી અંગ્રેજોએ તેમને અફીણની લત લગાડી દીધી.. તેમની નસેનસમાં અફીણ ઘુસી ગયું હતું અને આખો દિવસ અફીણના નશામાં પડ્યા રહેતા હતા. અને આવી રીતે બધા રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવી ગયું હતું.
ઉમેશ મકવાણા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને આ વખતે કેજરીવાલે તેમને ભાવનગરથી આપના લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. અહી કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી તેઓ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ક્ષત્રિયો તેમની સામે આંદોલન કરે છે કે નહી.
ભાવનગરના મહારાજા તો નશાબંધી લાવ્યા હતા : યુવરાજ જયવિરરાજસિંહ
ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના નિવેદન ઉપર પ્રત્યાઘાત આપતા ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું છે કે, ઉમેશ મકવાણા રાજકારણમાં નવા છે એટલે તેમને અહીનો ઈતિહાસ ખબર નહી હોય પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પિતાશ્રી એટલે કે મહારાજા ભાવસિંહજી નશાબંધીનો કાયદો લાવ્યા હતા. નેતાઓએ આવી વાતો કરવાને બદલે તેઓ ભાવનગર માટે ક્યા પાંચ નવા ઉદ્યોગો લાવશો તેની જાહેરાત કરવી જોઈએ.