પુનિતનગરની આંગણવાડીમાં લાપસીમાંથી ધનેડાં નીકળ્યા !
મ્યુનિ.કમિશનર-સ્ટે.ચેરમેનની આળસ'ને કારણે સ્થિતિ ફરી કથળી
અગાઉ
વોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં અહીં બેફામ ગંદકી મળ્યા બાદ હવે બાળકોને પીરસાતાં ભોજનનું સ્તર કથળ્યું: વાલીઓમાં હોબાળોવોઈસ ઓફ ડે' દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો જ્યાં ભણવાની સાથે હસવા-રમવા જાય છે તેવી આંગણવાડીઓના ભોજનનું કથળી રહેલું સ્તર તેમજ સુવિધાઓને લઈને તંત્રનું કાન આમળતાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જે પછી તંત્રમાં દોડધામ પણ થઈ હતી અને અમુક જવાબદારોની બદલીઓ પણ કરાઈ હતી. જો કે અહેવાલો બાદ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતનાએ એવો દાવો પણ કર્યો હતો કે તેમના દ્વારા દરેક આંગણવાડીનું સરપ્રાઈઝ ચેકિંગ કરીને હકીકત જાણવામાં આવશે પરંતુ એવું બન્યું નથી અને તેમની
આળસ’ને કારણે સ્થિતિ ફરી કથળવા લાગી છે. પુનિતનગરમાં આવેલી આંગણવાડીમાં બાળકોને પીરસાતી લાપસીમાંથી ધનેડાં નીકળતાં સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી.
પુનિતનગરમાં મહાપાલિકા હસ્તકની ઘટન-૨, કેન્દ્ર નં.૧૨૮ આંગણવાડી કે જ્યાં આશા વર્કર તરીકે ભાવનાબેન ભટ્ટ અને હિનાબેન પરમાર કાર્યરત છે તે આંગણવાડીમા બાળકોને શનિવારે લાપસી અને વઘારેલા ભાતનું મેનુ સામેલ હતું. બાળકોને લાપસી પીરસાઈ ત્યારે તેમાંથી ધનેડાં બહાર નીકળતાં બાળકો તો ગભરાઈ જ ગયા હતા સાથે સાથે આખરે આ ધનેડાં ક્યાંથી આવ્યા તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે તંત્રના એક પણ અધિકારી આવું શા માટે બન્યું હશે તેનો સચોટ જવાબ આપી શક્યા ન્હોતા.
કોઈ બાળકના ઘરેથી ધનેડું આવ્યું હોય તેવું બની શકે !
આ અંગે આંગણવાડીના અધિકારી અનસૂયાબેન પટેલનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે અમે તમામ પ્રકારનું ચેકિંગ કર્યા બાદ જ બાળકોને નાસ્તો પીરસીયે છીએ ત્યારે અમે ચેક કર્યું ત્યારે લાપસીમાં કોઈ પ્રકારની જીવાત ન્હોતી એટલા માટે ધનેડાં કોઈ બાળકના ઘરેથી આવ્યા હોય તેવું બની શકે છે ! આવું કહીને તેમણે આંગણવાડીની કોઈ જ ભૂલ નહીં હોવાનો લૂલો બચાવ કર્યો હતો.