કોઈ પણ ભોગે જીત મેળવવા બન્ને ટીમ લગાવશે એડીચોટીનું જોર
રવીન્દ્ર જાડેજાએ અડધી કલાક સુધી બેટિંગમાં હાથ અજમાવી `હોમગ્રાઉન્ડ’ પર ફરી સદી ફટકારવાનો વ્યક્ત કર્યો ઈરાદો

આજથી રાજકોટનું સ્ટેડિયમ નિરંજન શાહ સ્ટેડિયમ' તરીકે ઓળખાશે ૧૬ વર્ષ બાદ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું નામકરણ આજે થવા જઈ રહ્યું છે. આજથી આ સ્ટેડિયમ
નિરંજન શાહ સ્ટેડિયમ’ તરીકે વિશ્વફલક પર ઓળખાશે. આજે સાંજે ૬:૩૦ વાગ્યે બીસીસીઆઈ ના સેક્રેટરી જય શાહ, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, ટે્રઝરર આશિષ સેલાર, આઈપીએલ ચેરમેન અરુણ ધુમ્મલ સહિતના દિગ્ગજ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટેડિયમની નામકરણવિધિ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મુકાબલો રમાવાનો છે જેને લઈને બન્ને ટીમ સજ્જ બની ગઈ છે. આ મેચ બન્ને ટીમ માટે મહત્ત્વપૂર્ણ હોવાથી તેમાં કોઈ પણ ભોગે જીત મેળવવા કોઈ પ્રકારની કચાશ રહી ન જાય તે માટે ખેલાડીઓએ કલાકો સુધી પ્રેક્ટિસ કરી હતી. ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો તેણે સ્ટેડિયમ પર ત્રણ કલાક અને ઈંગ્લેન્ડે ૫ કલાક સુધી પરસેવો પાડ્યો હતો. બન્ને ટીમે વૉર્મઅપ ઉપરાંત બેટિંગ-બોલિંગ-ફિલ્ડિંગ એમ ત્રણેયમાં હાથ અજમાવ્યો હતો. આ મેચમાં સૌથી મોટું આકર્ષણ રવીન્દ્ર જાડેજા રહેશે જે બીજી મેચમાં ઈજાગ્રસ્ત હોવાથી રમ્યો ન્હોતો પરંતુ રાજકોટમાં તેનું રમવું લગભગ નિશ્ચિત હોવાથી તેણે ખાસ તૈયારી કરી હતી.
જડ્ડુએ વિન્ડિઝ સામે રાજકોટના જ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ સદી બનાવી હતી ત્યારે ઈંગ્લેન્ડ સામે ફરી સદી બનાવી શકે તે માટે બેટિંગમાં સળંગ અડધી કલાક સુધી સ્પીન-ફાસ્ટ એમ બન્ને બોલરોનો સામનો કરી તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો હતો. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે રાજકોટની પીચનું બારિકાઈથી નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે પ્રેક્ટિસમાં સ્પીનરોની સાથે જ બોલરોએ પણ અથાગ પ્રેક્ટિસ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે પણ બન્ને ટીમ સ્ટેડિયમ ઉપર જઈને પ્રેક્ટિસ કરશે અને આવતીકાલે સવારે ૯:૩૦ વાગ્યાથી બન્ને વચ્ચે મુકાબલો શરૂ થશે જેને લઈને ક્રિકેટરસિકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
ભારત સામે રમવું ઘણું અઘરું છતાં કચાશ નહીં રાખીએ: પોપ
ઈંગ્લેન્ડ ટીમના બેટર ઓલી પોપે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારત એક વર્લ્ડક્લાસ ટીમ છે એટલા માટે તેની સામે તેના જ ઘરમાં રમવું ઘણું કપરું હોય છે આમ છતાં અમે અમારી રમતમાં જરા પણ કચાશ રાખશું નહીં. વિશાખાપટ્ટનમ ટેસ્ટ બાદ અમે બધા પરિવાર સાથે અબુધાબી ચાલ્યા ગયા હતા જ્યાં પરિવાર સાથે ખાસ્સો સમય વીતાવ્યો હોવાથી અત્યારે તાજગી અનુભવી રહ્યા છીએ. પહેલી ટેસ્ટમાં મેં સદી બનાવી હતી જે હું મારા પરિવાર અને ટીમના ખેલાડીને અર્પિત કરું છું.
જાડેજાના આવી જવાથી અમે વધુ મજબૂત બન્યા: કુલદીપ
મેચ પહેલાં પત્રકાર પરિષદને સંબોધન કરતા ટીમ ઈન્ડિયાના સ્પીનર કુલદીપ યાદવે જણાવ્યું કે રવીન્દ્ર જાડેજાના ટીમમાં આવી જવાથી અમે વધુ મજબૂત બન્યા છીએ કેમ કે આ તેનું હોમગ્રાઉન્ડ છે. આ ઉપરાંત તેણે કહ્યું કે ટેસ્ટ મેચમાં ત્રણેય સેશનનું એટલું જ મહત્ત્વ હોય છે અને સેશન પ્રમાણે જ રણનીતિ ઘડાતી હોય છે. રાજકોટની પીચ બેટિંગ-બોલિંગ માટે સારી દેખાઈ રહી છે એટલા માટે અહીં રમવાની મજા આવે છે. અત્યારે ટીમના ચારેય સ્પીનર ફોર્મમાં રમી રહ્યા છે.
રાજકોટમાં બેન સ્ટોક્સની સદી પાક્કી !
આવતીકાલે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે તેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની સદી પાક્કી છે. બેન સ્ટોક્સ રાજકોટમાં કરિયરની ૧૦૦મી ટેસ્ટ રમવાનો છે એટલા માટે તેના કરિયરની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી રાજકોટ બનશે. તે ૧૦૦ ટેસ્ટ રમનારો ઈંગ્લેન્ડનો ૧૬મો ખેલાડી બનશે જ્યારે દુનિયાનો ૭૬મો ક્રિકેટર બનશે જે આ ઉપલબ્ધી હાંસલ કરશે.
રાજકોટની પીચ પ્રથમ બે દિ’ બેટરો માટે અનુકુળ રહી શકે
રાજકોટની પીચ પ્રથમ બે દિવસ સુધી બેટરો માટે અનુકુળ રહી શકે છે. ત્યારબાદ સ્પીનરોને મદદ મળવા લાગશે. આ ઉપરાંત ફાસ્ટ બોલરોને પણ પીચથી થોડો ફાયદો મળી શકે છે. અહીંની પીચ થોડી ધીમી રહે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ એક રેન્ક ટર્નર પીચ હોઈ શકે છે જેના પર બોલિંગ કરવા માટે ભારતીય સ્પીનરો આતૂર જોવા મળી રહ્યા છે.