પાડોશીને બચકાં ભરી લેનારાં કૂતરાંના માલિકને શું સજા થઈ વાંચો
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ૨૦૧૪માં બનેલી ઘટનાનો છેક હવે ચુકાદો આવ્યો, -ડોબરમેન બ્રિડના ડોગે ત્રણ બાળકો સહિત ચાર લોકોને બચકાં ભર્યાં હતાં
પાલતું કૂતરાએ પાડોશમાં રહેતા ચાર લોકોને બચકું ભરી લેવાની એક ઘટનામાં કોર્ટે ડોગના માલિકને એક વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઘટના અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં 2014માં બની હતી, જેમાં એક પુરુષ અને ત્રણ બાળકોને કૂતરાએ કરેલા હુમલાને કારણે ઈજા થઈ હતી. સેશન્સ કોર્ટે આ કેસમાં શુક્રવારે ડોગના માલિકને કસૂરવાર ઠેરવીને તેમને એક વર્ષની સજા ફટકારવાની સાથે ડોગના અટેકનો ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો.
ઘોડાસરની આશાપુરી સોસાયટીમાં રહેતા ભદ્રેશ પંડ્યાના ડોબરમેન બ્રિડના કૂતરાએ તેમની પાડોશમાં રહેતા અવિનાશ પટેલ તેમજ તેમના દીકરા અને ભત્રીજા ઉપરાંત અન્ય એક બાળક પર હુમલો કર્યો હતો. આ મામલે અવિનાશ પટેલે પોતાના પાડોશી અને ડોગના માલિક એવા ભદ્રેશ પંડ્યા પર કૂતરાને બાંધીને ના રાખવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્રણ બાળકોને કરડ્યા બાદ કૂતરાંએ અવિનાશ પટેલ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા હતા અને તેમનો હાથ ભાંગી ગયો હતો.
આરોપી ભદ્રેશ પંડ્યા સામે મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેણે તેમને જાન્યુઆરી ૨૦૨૦માં સૂરવાર ઠેરવીને કલમ ૩૩૮ હેઠળ એક વર્ષની તેમજ કલમ ૨૮૯ અને ૩૩૭ હેઠળ ત્રણ મહિનાની જેલની સજા ઉપરાંત ૧૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, લોઅર કોર્ટના ફેસલા સામે ભદ્રેશ પંડ્યાએ સિટી સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં સુનાવણી પૂરી થઈ ગઈ હતી પરંતુ ચુકાદો આપવામાં નહોતો આવ્યો.
જેઅંગે ફરિયાદી અવિનાશ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કર્યા બાદ હાઈકોર્ટે સેશન્સ કોર્ટને ચોક્કસ સમય મર્યાદામાં ચુકાદો આપી દેવા માટે જણાવ્યું હતું. એડિશનલ સેશન્સ જજ એ.જે. કાનાણીએ આરોપીને કોઈપણ રાહત આપવાનો ઈનકાર કરી દેતા નીચલી કોર્ટના ચુકાદા અને આરોપીને ફટકારવામાં આવેલી સજાને બરકરાર રાખવાનો હુકમ કર્યો હતો.
ડોગના માલિક ભદ્રેશ પંડ્યાને ગુનેગાર ઠેરવતા કોર્ટે ફરિયાદીની દલીલ સાથે પણ સહમતી વ્યક્ત કરી હતી, જેમાં ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે ભદ્રેશ પંડ્યાના ડોબરમેન ડોગને કારણે સોસાયટીમાં ૨૦૧૨-૧૩ના ગાળામાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ખાસ તો વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ભદ્રેશ પંડ્યાના આક્રમક ડોગથી ખૂબ જ ડરતી હતી.
ફરિયાદી તરફથી કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે બચાવ પક્ષને તેમના ડોગના હુમલાનો ભોગ બનેલા ચાર લોકોને વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કોર્ટનો ચુકાદો જાહેર થઈ ગયા બાદ ગુનેગાર ભદ્રેશ પંડ્યાને સરેન્ડર કરવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.