કોરોના સામે ક્યાં-ક્યાં રાજ્યોને એલર્ટ કર્યા સરકારે વાંચો
- દર 3 મહિને એકવાર હોસ્પિટલમાં મોકડ્રીલ કરવા તમામ રાજ્યોને સૂચન
- તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ-સચિવો સાથે યોજી બેઠક
દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, ‘આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.
આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી. આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ બેઠકમાં ભાગ લીધો હતો.
આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાને લઈને સૂચન આપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર તરફથી તમામ રાજ્ય માટે પૂરતી વ્યવસ્થા કરાશે, હાલની સ્થિતિએ કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરી. રાજ્યો દર ત્રણ મહિને હોસ્પિટલમાં એકવાર મોકડ્રીલ કરે . આ સાથે કહ્યું કે, આરોગ્યની બાબતે રાજકારણ ના થવું જોઈએ. ઠંડીની સિઝન અને આવનાર તહેવારોમાં સતર્કતા જરૂરી છે.
આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું, હવે સમય આવી ગયો છે કે “સમગ્ર સરકાર” વિઝન સાથે એકબીજા સાથે કામ કરો. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ પણ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને શિયાળાની મોસમ અને આગામી તહેવારોની મોસમ દરમિયાન ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિવારક પગલાં સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.